![]()
રેવન્યુ રેકોર્ડમાં તપાસ કરી ગુંદાળા ગામની મહિલાએ વારસાઇ નોંધ કરાવવા માટે પ્રક્રિયા કરતાં ભાંડો ફૂટયો : મામા – ફોઇના સંતાનોએ તરકટ રચ્યું
ગોંડલ, : ગોંડલનાં વાછરા રોડ ઉપર આવેલ ખેતીની જમીન બીનખેતી થયાં બાદ વિ.કે.નગર નામ ઓળખ આપી પ્લોટો પાડી મામા ફોઈના સંતાનોએ કુલમુખત્યાર અને માલિક દરજ્જે એકજ પ્લોટનું બે વાર વેચાણ દસ્તાવેજ કરી આપતાં કરતુત બહાર આવ્યું હતું. જે અંગેની સીટી પોલીસ સ્ટેશનમાં લેખીત ફરિયાદ આપતાં તપાસનો ધમધમાટ શરૃ થવા પામ્યો છે.
ગોંડલના ગુંદાળા ગામે રહેતા રંજનબેન રાજુભાઇ પાટડીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પિતા બચુભાઈ ગગજીભાઈ મકવાણાએ દેવરાજભાઈ પરબતભાઈ કાથરોટીયા પાસેથી તા.19/12/2000નાં રોજ વાછરા રોડ ઉપર આવેલ વિ.કે.નગરમા પ્લોટ ખરીદ કરેલ હતો. જે હયાત ન હોવાથી પ્લોટમાં વારસાઈ નોંધ કરવા માટે વિગત કઢાવતાં તેમાં અન્ય વ્યક્તિનું નામ આવતા એકજ પ્લોટનું બે વાર વેચાણ થયું હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે મુળ માલિક સાથે સંપર્ક કરતાં તેણે કુલમુખત્યાર નામું બીજા વ્યક્તિને કરી આપ્યું હોવાનું જણાવ્યું હતું. જે બન્નેનો સંબંધ મામા ફોઈના હોવાથી મંડળી રચી કરતુત કરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
આમ ઉપરોકત જમીન દેવરાજભાઈ પરબતભાઈ કાથરોટીયા તથા જેઠાલાલ કરશનભાઈ તેમજ મહંમદઅલી અકબરઅલીએ ખરીદ કરેલ જે ખેતીની જમીન તા. 4/5/99 ના રોજ બિનખેતી થતાં કુલ એકર 4-22 ગુઠાની બિનખેતીના પ્લોટ નં. 69 ચો.મી 122-00 વાળો પ્લોટ મહિલાના પિતા બચુભાઈ ગગજીભાઈ મકવાણાએ દેવરાજભાઈ પરબતભાઈ કાથરોટીયા પાસેથી તા. 19/12/2000 ની સાલમાં ખરીદ કરી દસ્તાવેજ કર્યો હતો. જ્યારે આજે તેઓ હયાત ન હોવાથી વારસાઈ નોંધ કરવા માટે વિગત કઢાવતાં તેમાં તેના પિતાના નામ ની જગ્યાએ ગુણવંતભાઈ રાજાભાઈ કોટડીયાનું નામ નીકળતા વધુ તપાસ કરતા મુળ માલિક દેવરાજભાઈ પરબતભાઈ કાથરોટીયાએ કુલમુખત્યાર નામું મિતુલકુમાર કાન્તીલાલ કાલરીયાને કરી આપ્યું હતું.










