![]()
મુંબઈ : ટેરિફ લાગુ કરવા સંદર્ભમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અનિશ્ચિત નીતિને કારણે વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ચાર મહિનામાં અમેરિકા ખાતે ભારતની નિકાસમાં વાર્ષિક ધોરણે ૨૧ ટકા વધારો થઈને ૩૩.૫૦ અબજ ડોલર રહી છે. આ ગાળામાં ભારતની માલસામાનની એકંદર નિકાસમાં વાર્ષિક ધોરણે ૩ ટકા વધારો થઈ તે ૧૪૯.૨૦ અબજ ડોલર રહી હોવાનું ગયા સપ્તાહમાં જાહેર થયેલા સરકારી આંકડામાં જણાવાયું હતું.
આ ગાળામાં ભારતની એકંદર નિકાસ ૨૭૭.૬૩ અબજ ડોલર રહી હતી. જેમાં સેવા ક્ષેત્રની નિકાસનો આંક ૧૨૮.૪૩ અબજ ડોલર રહ્યો હતો. ભારતના માલસામાન પર અમેરિકાએ સાત ઓગસ્ટથી ૨૫ ટકા ટેરિફ લાગુ કરી છે અને બીજી વધારાની ૨૫ ટકા ટેરિફ ૨૭ ઓગસ્ટથી લાગુ કરવા જાહેર કરાયું છે.
ભારતની પ્રથમ ચાર મહિનાની એકંદર નિકાસમાંથી બાવીસ ટકા નિકાસ અમેરિકા ખાતે થઈ છે, પરંતુ વર્તમાન મહિનાથી લાગુ થયેલી ટેરિફને ધ્યાનમાં રાખતા આગળ જતા નિકાસ સામે જોખમ જોવા મળી શકે છે, એમ જણાવી એક નિકાસકારે ટેરિફ લાગુ થવા પહેલા જ તાજેતરના મહિનાઓમાં નિકાસમાં ઝડપ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. એપ્રિલથી જુલાઈના ગાળામાં અમેરિકા ખાતે નિકાસમાં જંગી વધારાથી નિકાસકારો માટે આગળ જતા ડિસ્કાઉન્ટ ઓફર કરવા સ્થિતિ સાનુકૂળ બની છે.
અમે અમારા જુના ખરીદદાર તૂટી ન જાય તેની ખાતરી રાખવા માગીએ છીએ અને માટે જ તેમને આગળ જતા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે એમ પણ સદર નિકાસકારે વધુમાં જણાવ્યું હતું. અમેરિકા સાથે વેપાર વાટાઘાટ હાલમાં સ્થગિત થઈ ગઈ છે ત્યારે આવનારા દિવસોમાં કેટલીક સફળતાની અપેક્ષા છે, એમ એપરલ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલના એક હોદ્દેદારે જણાવ્યું હતું.
જ્યાં સુધી ૨૫ ટકા ટેરિફ છે ત્યાંસુધી ભારતના નિકાસકારો ડિસ્કાઉન્ટના બોજનો થોડોઘણો હિસ્સો ગ્રહણ કરી શકશે પરંતુ વધારાની ૨૫ ટકા ટેરિફના કિસ્સામાં ડિસ્કાઉન્ટમાં વધારો કરવાનું શકય નહીં બને. આમપણ નિકાસકારો પાંખા માર્જિને કામ કરી રહ્યા છે ત્યારે જંગી ડિસ્કાઉન્ટ ઓફર કરવાનું પરવડી શકે એમ નથી. અમેરિકા-રશિયા વચ્ચે થયેલી મંત્રણા બાદ મળતા સંકેતોમાં ભારત પર વધારાની ટેરિફ લાગુ નહીં થાય તેમ જણાઈ રહ્યું છે.










