![]()
વડોદરા, તા.7 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ હવે પુરવઠાખાતાના અધિકારીઓનું રેશનિંગ દુકાનના સંચાલકો પર દબાણ વધી ગયું છે. એનએફએસએ હેઠળ સરકારી અનાજ મેળવતા રેશનકાર્ડ ધારકો માટે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) યોજનાના અમલ માટે દુકાનદારોને એક પણ વધારાનું વળતર નહી ચૂકવ્યા વગર કામગીરી સોંપાતા રાજ્યભરના દુકાનદારોમાં વિરોધ થયો છે.
રેશનિંગ દુકાનમાંથી અનાજ મેળવતા ગ્રાહકોને કેટલું અનાજ મળશે અથવા મળી રહ્યું છે તેની વિસ્તૃત જાણકારી માટે અગાઉ ઇ કેવાયસી પ્રક્રિયા બાદ હવે રાજ્ય સરકાર નવી સિસ્ટમ સીબીડીસીનો અમલ કરવા જઇ રહી છે. આ કામગીરી માટે પંજાબ નેશનલ બેંક સાથે જોડાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સીબીડીસી માટે લાભાર્થીઓને ઓનબોર્ડિંગ કરવા માટે ગ્રામ્ય કક્ષાએ કામ કરતા વીસીઇ (બિઝનેશ કોરસસ્પોન્ડન્ટ) માટે એક રેશનકાર્ડની નોંધણી માટે રૃા.૨૦ વેતન ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જ્યારે રેશનિંગ દુકાનદારોને પણ આ કામગીરી કરવા માટે જણાવાયું છે પરંતુ તેના માટે કોઇ રકમ નહી ચૂકવવામાં આવે તેમ સ્પષ્ટ કરતા રાજ્યભરના રેશનિંગ દુકાનદારોમાં વિરોધ ઊભો થયો છે. રાજ્યના દરેક જિલ્લાના એસોસિએશનના પ્રમુખ દ્વારા સરકાર દ્વારા કરાતી જબરજસ્તીની કામગીરી માટે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.
રાજ્યભરમાં ૧૭ હજાર જેટલી રેશનિંગ દુકાનોના સંચાલકોએ આ મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી આગામી દિવસોમાં સરકારને ઉગ્ર રજૂઆત કરવાનુ નક્કી કરવામાં આવ્યું છે. એકને ગોળ બીજાને ખોળ જેવી સરકારી નીતિનો વિરોધ દિવસે દિવસે વધતો જાય છે. ખરેખર રેશનિંગ દુકાનદારોને પ્રોત્સાહન આપવાના બદલે તેમનું જ શોષણ કરવામાં આવી રહ્યું છે.
પરિપત્રમાં ઉલ્લેખ નથી છતાં વોટ્સએપ ગૃપોમાં દુકાનદારોને હેરાનગતિ
રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના તા.૮ માર્ચના રોજના પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે આ કામગીરી વીસીએએ કરવાની થાય છે અને એના વળતર સ્વરૃપે એક રેશનકાર્ડ એન્ટ્રીના રૃા.૨૦ મળવાપાત્ર છે અથવા આ કામ જે બેન્કને સોંપવામાં આવ્યું છે એ બેન્કના નિયુક્ત કરાયેલા કર્મચારીએ કરવાનું થાય છે.
આ પરિપત્રમાં સીબીડીસીની કામગીરી એફપીએસ સંચાલકોને કરવાની છે તેવો ઉલ્લેખ નથી કે એ કામ પેટે વળતરનો પણ ઉલ્લેખ નથી તેમ છતાં સ્થાનિક પુરવઠા વિભાગ દ્વારા મૌખિક અને વોટ્સએપ ગૃપોમાં આ કામગીરી કરવા દબાણ કરવામાં આવે છે.
એફપીએસ સંચાલકોને વળતરનો પરિપત્ર ઇસ્યૂ કરવામાં આવે તેવી માગ
રેશનિંગ દુકાનદારો દ્વારા માગણી કરવામાં આવી છે કે સરકાર અને વિભાગે સીબીડીસીની કામગીરી જો દુકાનદારો પાસે કરાવવાની હોય તો પરિપત્રમાં એફપીએસ સંચાલકોનો ઉલ્લેખ કરવામાં આવે. એમને જે વળતર વીસીઇને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે એ જ રીતે એફપીએસ સંચાલકોને પણ કામગીરીનું વળતર આપવામાં આવે અને દુકાનદારોને કામગીરી કરવા માટે નિમણૂંકપત્ર આપવામાં આવે.










