![]()
Jafrabad News : જાફરાબાદના અરબી સમુદ્રમાં ત્રણ બોટ એ જળ સમાધિ લીધી હતી. બોટમાં સવાર 11 માછીમારો ગુમ થયા હતા. જેમાંથી બે માછીમારો મૃતદેહો મળી આવ્યા હતા. ત્યારબાદ આજે (29 ઓગસ્ટ) વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો છે. એમ અત્યાર સુધી 3 માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ, જયશ્રી તાત્કાલિક બોટના માછીમાર હરેશ બારૈયા (રહે. વાસી-બોરસી, જલાલપુર, નવસારી)નો મૃતદેહ દરિયા કિનારેથી મળી આવ્યો છે.
આ દુર્ઘટના બાદ શરૂ થયેલી શોધખોળ દરમિયાન આજે હરેશ બારૈયાનો મૃતદેહ મળી આવતા તેમના પરિવારમાં શોક છવાઈ ગયો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અને ઓળખની કાર્યવાહી માટે જલાલપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમરેલી: જાફરાબાદના દરિયામાં 9 ખલાસીઓ 6 દિવસથી લાપતા, બેના મૃતદેહ મળ્યા
આ ઘટનામાં હજુ પણ 8 માછીમારો લાપતા છે, જેમની શોધખોળ કોસ્ટગાર્ડની ટીમ અને સ્થાનિક માછીમારો દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી છે. કોસ્ટગાર્ડની ટીમ સાથે હવે માછીમારોની 10 બોટ પણ આ શોધખોળમાં જોડાઈ છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે મૃતદેહો શોધવામાં તકલીફ પડી રહી છે.
શું હતી ઘટના?
થોડા દિવસો પહેલાં જાફરાબાદની બે અને રાજપરા ગામની એક બોટ દરિયામાં જળ સમાધિ લઈ ગઈ હતી. તે ઘટનામાં સવાર 11 માછીમારો હજુ પણ લાપતા છે. જાફરાબાદની બે બોટ અને ગીર સોમનાથના રાજપરાની એક બોટમાં 28 માછીમારો હતા. જેમાંથી 17 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યારે 11 માછીમારો ગુમ થયા હતા. જેમાંથી અત્યાર સુધી 3 માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે. હજુ આજે પણ 8 માછીમારોનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આ ઉપરાઉપરી બનેલી ઘટનાઓએ દરિયાઈ સુરક્ષા અને માછીમારોની સલામતીને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.










