![]()
Jamnagar : જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાનને પાડોશમાં રહેતી પરિણીતા સાથે મિત્રતા કેળવવી ભારે પડી છે, અને બંને પરિવારો વચ્ચે દંગલ થયું છે, અને સામસામે હુમલા પથ્થરમારા થવાથી બંનેના મકાનોમાં અને વાહનોમાં નુકસાન થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાય છે.
સૌ પ્રથમ બનાવમાં જામનગરમાં શંકર ટેકરી શેરી નંબર 2 માં રહેતા અને પાનની દુકાન ચલાવતા અભય ઉર્ફે પ્રફુલ વિજયભાઈ વરાણીયા નામના 19 વર્ષના યુવાને પોતાના ઘર ઉપર પથ્થરમારો કરી સોડા બાટલીના ઘા કરી મકાનમાં તેમજ બહાર પડેલા વાહનોમાં નુકસાની પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા શાહુ સંધી, હાર્દિક આહીર, જયદીપસિંહ જાડેજા, નીતિનભાઈ સિંગરખીયા વગેરે ચાર વ્યકતિ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીના ભાઈ જગદીશને અગાઉ આરોપીની પત્ની સાથે વાતચીત સહિતના અન્ય વ્યવહારો હોવાથી તેમજ હજુ પણ બંને વચ્ચે વાતચીત થતી હોવાનો વહેમ રાખીને ચારેય શખ્સોએ ઘર પર ધસી આવી હલ્લો મચાવ્યો હતો, અને ઘર અને વાહનમાં તોડફોડ કરી હતી જે અંગે સીટી સી. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત સામા પક્ષે અમીનાબેન શેર મહંમદભાઈ નામની મહિલાએ પોતાના ઘર ઉપર તેમજ ઘરની અંદર ટીવી, એસી, ફ્રીજ સહિતના માલસામાનમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડવા અંગે વિજય કેશુભાઈ વરાણીયા, અભય વિજયભાઈ વરાણીયા, બેનાબેન રોહિતભાઈ લીંબડ, રોહિત કાજલબેન, રાહુલભાઈ વરાણીયા, સીમાબેન વિજયભાઈ વરાણીયા, જયેશ ગોરધનભાઈ દિહોરા, રાહુલ રાજેશભાઈ વરાણીયા, વાસંતીબેન દેવજીભાઈ વરાણીયા, પૂજાબેન રાજેશભાઈ વરાણીયા, અને જશુબેન સુરેશભાઈ પરમાર સહિત 11 સ્ત્રી પુરુષો સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.










