Jamnagar : જામનગરના હોમગાર્ડઝના જવાનો કે જેઓ ફરજો અને પરેડોના સ્ટ્રેસથી મુક્ત થાય તે માટે જિલ્લા હોમગાર્ડઝ જામનગર માટે બાય બાય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, અને તેઓ પણ ગરબાના તાલે ઝુમ્યા હતા.

જામનગર હોમગાર્ડઝના ભાઈઓ અને બહેનો પોલીસ સાથે ખંભે-ખંભા મિલાવી રાત દિવસ પોતાની ફરજો અને પરેડો દરેક તહેવારોમાં કરતાં હોય છે, જેને લઈને હોમગાર્ડઝ સભ્યો કોઈપણ તહેવારો પોતાના પરિવારો સાથે માણી શકતાં નથી. કેમકે. હોમગાર્ડઝની પ્રથમ ફરજ લોકોની સુરક્ષાની અને કાયદો-વ્યવસ્થા જાળવવાની હોય છે. આવા સમયે દરેક તહેવારોમાં હોમગાર્ડઝ જ્યારે લોકો માટે રાત દિવસ ખડે પગે રહે છે, તો એમનો પણ હક્ક બને છે કે તેઓ પણ આ પરેડ ફરજોના થોડા તણાવમાંથી બહાર આવી મનોરંજન મેળવે. જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા દ્વારા હોમગાર્ડઝની સેવાઓને સાર્થક કરવા અને એક દિવસ માટે તેઓને ફરજો અને પરેડોના તણાવમાંથી મુક્તિ અપાવવા બાયબાય નવરાત્રીનું આયોજન કિચન એજ હોટલની સામે આશિર્વાદ કલબ રિસોર્ટ પાસે નાઘેડીના પાટીયા પાસે કરવામાં આવ્યું હતું.

આ આયોજનમાં તમામ હોમગાર્ડઝ ભાઈઓ અને બહેનો મન મુકીને ગરબાના તાલે ઝૂમ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાની વિનંતીને માન આપીને તથા જામનગર હોમગાર્ડઝની વખતોવખતની સેવાઓને ધ્યાનમાં રાખીને એડવોકેટ મનોજ ઝવેરી અને ભરતસિંહ જાડેજાની ટીમ દ્વારા ગ્રાઉન્ડની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. સાઉન્ડ સિસ્ટમ અને નાસ્તાની વ્યવસ્થા હોમગાર્ડઝના ઓફિસરો અને સભ્યો દ્વારા કરવામાં આવી હતી. આ તકે તમામ હોમગાર્ડઝ ભાઈઓ અને બહેનોએ જામનગર હોમગાર્ડઝના ઈતિહાસમાં પ્રથમ વખત આવા સરસ સામિયાણા હેઠળ બાય બાય નવરાત્રીનું આયોજન કરવા બદલ જિલ્લા કમાન્ડન્ટ અને તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.










