![]()
Jamnagar Crime : જામનગર શહેરમાં માત્ર 20 રૂપિયાની માંગણીને લઈને હત્યાના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નવીવાસ વિસ્તારમાં રહેતા રમેશભાઈ નારણભાઈ દંતાણી, જે છેલ્લા કેટલાય વર્ષોથી ફુટપાથ પર રેકડી ચલાવી જીવન નિર્વાહ કરતા હતા, તેઓ ઉપર વહેલી સવારના સમયે હુમલો કરવામાં આવ્યો હતો.
માહિતી મુજબ, રમેશભાઈ નવીવાસ વિસ્તારના શાલીમાર પાન પાસે એક મકાનના ઓટલા પર સુતા હતા, ત્યારે આરોપી ઈતિયાઝ ઉર્ફે ભોયો યુનુસભાઈ ગામેતી ત્યાં આવી બળજબરીથી માત્ર રૂ.20 ની માંગણી કરી હતી. પૈસા આપવાની ના પાડતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો, અને છરી વડે પેટના ભાગે ત્રણ ઘા મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
હુમલા બાદ ઈજાગ્રસ્ત રમેશભાઈને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ટુકડી તાત્કાલિક સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસે ઇજાગ્રસ્તના ભત્રીજા પોરબંદરમાં રહેતા સંદીપ મનસુખભાઈ દંતાણીની ફરિયાદના આધારે આરોપી ઈમ્તિયાઝ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે, અને આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. દરબાર ગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહ્યા છે. ઇજાગ્રસ્તની હાલ અત્યંત નાજુક છે, અને તેઓ બેશુદ્ધ અવસ્થામાં સારવાર મેળવી રહ્યા છે.










