![]()
Jamnagar News: જામનગરમાં બેડીબંદર રોડ પર આવેલા જાણીતા ‘સંકલ્પ ઢોસા’ નામના ફૂડ સેન્ટરમાં સોમવારે (17મી નવેમ્બર) સાંજે ફૂડ સેફ્ટીની ગંભીર બેદરકારી સામે આવી છે. નાસ્તો કરવા ગયેલા ગ્રાહકને મંગાવેલા ઢોસામાંથી જીવાત નીકળતાં ખળભળાટ મચી ગયો હતો. આ અંગે ગ્રાહકે તાત્કાલિક જામનગર મહાનગરપાલિકા (JMC)ની ફૂડ શાખાને જાણ કરતાં તંત્ર દોડતું થયું હતું.
ઢોસામાંથી જીવાત નીકળી
મળતી માહિતી અનુસાર, સોમવારે સાંજે એક પરિવાર સંકલ્પ ઢોસા સેન્ટરમાં નાસ્તો કરવા ગયો હતો. તેમણે જે ઢોસા મંગાવ્યા હતા, તેમાંથી સ્પષ્ટ રીતે જીવાત જોવા મળી હતી. ગ્રાહકે આ અંગે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાને જાણ કરતાં ફૂડ સેફ્ટીની ટીમ તરત જ સ્થળ પર દોડી ગઈ હતી.
આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત DGPનો મોટો નિર્ણય, રાષ્ટ્ર વિરોધી હિસ્ટ્રીશીટર્સનું 100 કલાકમાં વેરિફિકેશન કરવા આદેશ
રેસ્ટોરન્ટ બંધ કરવાનો આદેશ, સેમ્પલ લેવાયા
ફૂડ શાખાની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ફૂડ વિભાગની ટીમે ખાદ્ય પદાર્થોના સેમ્પલ સીલ કર્યા છે અને તેને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. આ ગંભીર બેદરકારી બદલ રેસ્ટોરન્ટના સંચાલકને તાત્કાલિક પોતાનો રેસ્ટોરન્ટ બે દિવસ માટે બંધ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ફૂડ સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવા અને હાઈજેનિક કન્ડિશન જાળવવા માટેની કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે. જાણીતા ફૂડ પાર્લરમાંથી જીવાત નીકળવાની આ ઘટનાએ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ગંભીર સવાલો ઊભા કર્યાં છે.










