Jamnagar : જામનગર શહેર સહિત જીલ્લામાં શનિવારે “ઇદ-ઉલ-ફિત્ર” ના પવિત્ર પર્વની ભાઇચારાની અનોખી ભાવના સાથે હર્ષોલ્લાસભેર અને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમોના મહાન પવિત્ર પર્વ રમઝાન માસના 30 રોઝા પૂર્ણ કર્યા બાદ, શનિવારે ઇદની આનંદ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરાઇ હતી.
જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલ ઇદગાહ ખાતે કાઝી-એ-ગુજરાત સૈયદ સલીમબાપુ નાનીવાળા દ્વારા ઇદની નમાઝ અદા કરાવી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઇઓ એકઠા થયા હતા. નમાઝ અદા કર્યા બાદ લોકોએ એકબીજાને ઈદની શુભેચ્છા પણ પાઠવી હતી.

ઇદની નમાજ પૂર્ણ થયા બાદ ઇદગાહ ખાતે જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ હાજી અબ્દુલરશીદભાઇ લુશવાલા (ગુડલક) ઉપપ્રમુખ વકીલ અશરફઅલી ગોરી, સેક્રેટરી ગુલામ દસ્તગીર શેખ, જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી સાજીદભાઇ બ્લોચ, સંજયભાઇ કાંબરીયા હાજી અનવર ખફી, બુલંદી ગ્રુપના પ્રમુખ અસલમભાઇ સોરા, અઝીમખાન પઠાણ અને મોસીન ખફી સહિત મુસ્લિમ આગેવાનોએ ઉપસ્થિત રહી મુસ્લિમ બિરાદરોને ગળે મળી ઇદની મુબારકી પાઠવી હતી. તેમજ કાઝી-એ-ગુજરાત સૈયદ સલીમબાપુ નાનીવાળા દ્વારા સલાતો સલામ પઢી ભારત દેશની પ્રગતિ, સમૃધ્ધિ, અમન અને શાંતિ માટે દુવા કરવામાં આવી હતી.










