![]()
image : Social media
Jamnagar : ભારત સરકારની એગ્રીસ્ટેક યોજના અંતર્ગત ખેતી ક્ષેત્રે આધુનિકતા લાવવાના હેતુથી ડિજિટલ ક્રોપ સર્વે સિસ્ટમ અમલી બનાવાઈ છે. આ કામગીરીને વધુ સચોટ અને પારદર્શક બનાવવા સરકારે એ.આઈ. બોટ સિસ્ટમ દ્વારા વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરી છે. આ નવી વ્યવસ્થા હેઠળ જામનગર જિલ્લાના ખેડૂતોએ ઓટોમેટેડ વોઇસ કોલ અથવા વોટ્સએપ મેસેજ દ્વારા પૂછવામાં આવતી વિગતોની ખરાઈ કરવાની રહેશે.
નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, રવિ ઋતુ દરમિયાન સર્વેયરોએ ખેતરોની મુલાકાત લઈને જીઓ-ટેગિંગ સાથે પાકની જે વિગતો મોબાઈલ એપ્લિકેશનમાં નોંધવી છે, તેની ચોકસાઈ ચકાસવા માટે એ.આઈ. ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. જે ખેડૂતોનો સર્વે પૂર્ણ થયો છે તેમનો ફોન કે મેસેજથી સંપર્ક કરીને તેમના ખેતર અને પાક સંબંધિત માહિતીની ખરાઈ કરવામાં આવશે. ખેડૂતો આ પ્રકારના કોલ કે મેસેજ પર પોતાના પાકની સાચી અને સચોટ વિગતો આપે તેવી અપીલ કરવામાં આવી છે.
આ એક સરકારી પહેલ હોવાથી ખેડૂતોએ કોઈ પણ પ્રકારની અફવાઓ કે ગેરમાર્ગે દોરનારી વાતોથી દૂર રહેવું જોઈએ. ડેટામાં પારદર્શિતા આવવાથી ભવિષ્યમાં ખેડૂતોને સરકારી યોજનાઓના લાભો વધુ ઝડપથી મળી શકશે. રાજકોટ જિલ્લાના તમામ ખેડૂતોને આ ડિજિટલ અભિયાનમાં સહયોગ આપવા અને સરકારી પ્રક્રિયાઓ પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે.










