![]()
– જિલ્લાના 7 તાલુકામાં ઝરમરથી લઈ પોણા 2 ઇંચ વરસાદ નોંધાયો
– સિહોર અને ઘોઘા તાલુકામાં અડધો ઇંચ, વલ્લભીપુર, ઉમરાળા અને તળાજામાં વરસાદી ઝાપટા
ભાવનગર : ભાવનગર જિલ્લામાં કેટલાક દિવસથી વરસાદી માહોલ યથાવત છે અને જુદા જુદા તાલુકાઓમાં છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે, જેમાં આજે રવિવારે જિલ્લાના મહુવા અને ભાવનગર તાલુકામાં સારો વરસાદ પડયો હતો.
મેઘરાજાએ આજે રવિવારે ભાવનગર જિલ્લામાં મહેર કરી હતી, જેમાં સાત તાલુકામાં ઝરમર વરસાદથી લઈ પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો, જેમાં મહુવા તાલુકામાં ૪ર મીલીમીટર એટલે કે પોણા બે ઇંચ અને ભાવનગર તાલુકામાં ર૯ મીલીમીટર એટલે કે સવા ઇંચ વરસાદ વરસ્યો હતો. આ બંને તાલુકામાં ધોધમાર વરસાદ આવતા રોડ પર પાણી ફરી વળી વળ્યા હતા, જેના પગલે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી હતી. ઘણા લોકો વરસાદમાં પલળીને ઘરે પહોંચ્યા હતાં. આ ઉપરાંત સિહોર તાલુકામાં ૧૪ મીલીમીટર અને ઘોઘા તાલુકામાં ૧ર મીલીમીટર એટલે કે અડધો ઇંચ વરસાદ પડયો હતો.
ઉમરાળા તાલુકામાં પ મીમી, વલ્લભીપુર તાલુકામાં ર મીમી અને તળાજા તાલુકામાં ૧ મીમી એટલે કે વરસાદી ઝાપટા પડયા હતા, જયારે ગારિયાધાર, પાલિતાણા અને જેસર તાલુકામાં આજે વરસાદ પડયો ન હતો તેમ માહિતી આપતા ડિઝાસ્ટર વિભાગના સુત્રોએ જણાવેલ છે. ભાવનગર જિલ્લામાં હજુ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેના પગલે આગામી દિવસોમાં પડવાની શકયતા છે.
ખેતી માટે હાલ વરસાદની જરૂર ન હોવાની ચર્ચા
ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ છે, જેના કારણે ખેતી પાકને પુરતુ પાણી મળી ગયુ છે તેથી હાલ વરસાદની જરૂર નથી તેમ ખેડૂતોમાં ચર્ચાય રહ્યુ છે. જિલ્લામાં હાલ ઉઘાડ થવાની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે પરંતુ ઉઘાડ નિકળતો નથી, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. પાકની આસપાસ ઘાસ ઉગી ગયુ છે પરંતુ વરસાદના કારણે ખેડૂતો ખેતરમાં કામ કરી શકતા નથી. ઉઘાડ નિકળે તો ખેતીને ફાયદો થશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.










