આમરણાંત ઉપવાસ આંદોલનનો છઠ્ઠા દિવસમાં પ્રવેશ
જ્યાં સુધી સરકાર માંગણીઓ સ્વીકારી ન લે ત્યાં સુધી આંદોલનનો અંત નહિ, ખેડૂતો દ્વારા મક્કમ નિર્ધાર
મોરબી: જેતપરમાં વીજ લાઇનના વળતર મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનમાં વધુ એક ઉપવાસી ખેડૂતની તબિયત લથડી હતી, જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. દરમિયાન આંદોલન છાવણીની કલેકટર, પોલીસવડા અને પ્રાંત અધિકારીએ મુલાકાત લીધી હતી પરંતુ સરકાર માંગણીઓ સ્વીકારી ન લે ત્યાં સુધી આંદોલનનો અંત નહિ જ આવે તેવો મક્કમ નિર્ધાર ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો.
મોરબીના જેતપર ગામે ઉપવાસ આંદોલન સતત ચાલી રહ્યું છે. અગાઉ બે પુરુષ અને બે મહિલા આંદોલનકારીની તબિયત લથડી હોવા છતાં આંદોલન અવિરત ચાલી રહ્યું છે. જેમાં ગત રાત્રીના વધુ એક ઉપવાસી ખેડૂત નેહુલ અમૃતિયાની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
જેતપર ઉપવાસી છાવણીમાં ગત રાત્રીના જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા અને પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓએ પહોંચી ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. જોકે ખેડૂતોએ હાલ ગાંધીનગર નહિ જઈએ તેવું સ્પષ્ટ જણાવી દીધું હતું. આંદોલન કરનાર રાકેશભાઈ ઉર્ફે કાળુ અમૃતિયાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી સુધારા સાથેનો પરિપત્ર ન મળે ત્યાં સુધી આંદોલનનો અંત નહિ આવે. તથા જ્યાં સુધી મુખ્યમંત્રી પત્ર ન લખે અને મળવા માટે સમય ના ફાળવે, ત્યાં સુધી ગાંધીનગર નથી જવું તેવું નક્કી કરવામાં આવ્યું છે. સરકાર જ્યા સુધી માંગણીઓ સ્વીકારી ન લે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ જ રહેશે તેવો મક્કમ નિર્ધર ખેડૂતો દ્વારા કરાયો છે.

– જેતપર ઉપવાસી છાવણીમાં મહારક્તદાન કેમ્પ
જેતપર ઉપવાસી છાવણીમાં મહા રક્તદાન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબી, રાજકોટ અને અમદાવાદ સહિતની ૧૨ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા કેમ્પમાં રક્તદાન કરવામાં આવી રહ્યું છે. બપોર સુધીમાં ૧૦૦૦ બોટલ એકત્ર થઇ હતી. કેમ્પમાં સૌથી વધુ રક્ત એકત્ર કરવાનો રેકોર્ડ સર્જવાનો ખેડૂતો દ્વારા લક્ષ્યાંક રખાયો છે.










