![]()
– આણંદ પાલિકાના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની હત્યાનો મામલો
– દોઢ વર્ષ અગાઉનો ઝઘડો હત્યાનું કારણ : જમીનની લેતી-દેતી, અન્ય બેથી ત્રણ મોટા માથાની સંડોવણીની શંકા
આણંદ : બાકરોલના ગોયા તળાવના વોકિંગ ટ્રેક ઉપર ગતરોજ આણંદ પાલિકાના વોર્ડ નં.-૧ના પૂર્વ નગરસેવકની ઘાતકી હત્યામાં ઉમરેઠના સુરેલી ગામના બે યુવકોને અમદાવાદથી આણંદ પોલીસે ગઈકાલ મોડી રાતે ઝડપી પાડયા હતા. હત્યા સમયે ઝપાઝપીમાં નગરસેવકે પ્રતિકાર કરતા હુમલો કરનારા યુવકને હાથે ઈજા થઈ હતી. હત્યા પાછળ અગાઉ થયેલા ઝઘડાની અદાવત કારણભૂત હોવાનું પ્રાથમિક પૂછપરછમાં ખૂલ્યું હતું. જમીનની લેતી-દેતી સાથે અન્ય બેથી ત્રણ મોટા માથાંની સંડોવણીની પણ શંકા છે.
આણંદ નગરપાલિકાના વોર્ડ નં.-૧ના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઈકબાલ ઉર્ફે બાલો મલેકની મંગળવારે સવારે બાકરોલ ગામના ગોયા તળાવ ઉપર વોકિંગ ટ્રેક ઉપર અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરી નાખી હતી. વિદ્યાનગર પોલીસે હત્યાનો ગુનો નોંધવા સાથે વિવિધ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. અઢી વર્ષ પૂર્વે ઈકબાલ ઉર્ફે બાલાને વિદ્યાનગરના મોટાબજાર વિસ્તારમાં પરિવારની એક યુવતીને લઈને એક યુવક સાથે માથાકૂટ થઈ હતી. ઈકબાલ મલેકે યુવકને માર મારી જાહેરમાં વરઘોડો કાઢયો હોવાનું જાણવા મળતા પોલીસે શંકાને આધારે યુવકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. સીસીટીવીના ફૂટેજ તપાસતા મોંઢા ઉપર બે યુવકો રૂમાલ બાંધીને બાઈક લઇ પસાર થતા જણાયા હતા. દરમિયાન બંને હત્યારાઓ અમદાવાદના જુહાપુરામાં છુપાયાની માહિતી મળતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરી બંનેને ઝડપી પાડયા હતા.
વિદ્યાનગર પોલીસની ટીમ ફૈઝલ ઇલ્યાસ હુસેન મલેક અને ઐયાન અલ્તાફભાઈ મલેકની પ્રાથમિક તપાસ કરતા હત્યા સમયે ઝપાઝપી થઈ હતી. અને હત્યારા બંને યુવકોએ છરા વડે હુમલો કર્યો હતો. ઈકબાલ મલેકે પ્રતિકાર કરતા ફૈઝલના હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી.
છેલ્લા ત્રણેક દિવસથી યુવકો રેકી કર્યા બાદ ગતરોજ હત્યાને અંજામ આપ્યા બાદ બંને શખ્સો બાઈક ઉપર આણંદ બાકરોલ રોડ ઉપરથી ૧૦૦ ફૂટના રોડ થઈ અમદાવાદ ચાલ્યા ગયા હતા. અઢી વર્ષ પૂર્વે મારા મારીની ઘટનાની અદાવતમાં બંને યુવકોએ ઈકબાલ ઉર્ફે બાલો મલેકનું ઢીમ ઢાળી દીધું હોવાનું બહાર આવ્યું છે. હત્યા પાછળ જમીનની લેતી-દેતી સાથે અન્ય બેથી ૩ મોટા માથાની સંડોવણીની પણ શંકા છે.
પોલીસના ઠપકા બાદ ફૈઝલ મલેકનો પરિવાર બાકરોલથી સુરેલી જતો રહ્યો
ઉમરેઠના સુરેલી ગામે રહેતા ફૈઝલ ઇલિયાસમિયા મલેકન સાથે ઈકબાલ મલેકને પોતાના પરિવારની યુવતી બાબતે માથાકૂટ વખતે મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો. પોલીસે ઠપકો આપી ફૈઝલ મલેકને જવા દીધો હતો. બાદમાં ફૈઝલ મલેકનો પરિવાર બાકરોલ ખાતેનું ભાડુતી મકાન ખાલી કરી સુરેલી ગામે રહેવા ગયા હતા.
મુખ્ય આરોપી ફૈઝલે પતરું વાગ્યાનું કહી ખાનગી દવાખાનામાં સારવાર લીધી
આ અંગે વિદ્યાનગર પીઆઈ ડી.આર. ગોહિલે જણાવ્યું હતું કે, હત્યા સમયે ઇકબાલ મલેકે પ્રતિકાર કરતા ફૈઝલ મલેકને છરો વાગી જતા ફૈઝલની ત્રણ આંગળીઓ કપાઈ ગઈ હતી. ઈકબાલ મલેક ઉપર ફૈઝલે વધુ ઘા માર્યા હતા ફૈઝલ મલેક પાસે છરો હતો અને અયાન મલેક પાસે ગુપ્તી જેવું હથિયાર હતું. મુખ્ય સૂત્રધાર ફૈઝલ મલેક છે અને તેણે ઐયાન મલેકને પોતાની સાથે રાખ્યો હતો. જોકે ઐયાન મલેકને છેલ્લા એક અઠવાડિયાથી ફૈઝલે પોતાના ઘરે રાખ્યો હતો અને ખવડાવતો હતો.
હત્યાને અંજામ આપવા માટે બે વાર રેકી કરી હતી. હત્યા બાદ જુહાપુરા ખાતે રહેતા સંબંધીને ત્યાં ગયા હતા. ફૈઝલે ખાનગી દવાખાનામાં પતરું વાગ્યાનું કહી સારવાર લીધી હતી.










