![]()
વડોદરા,ગૃહ રાજ્ય મંત્રીના કાર્યક્રમમાં હાજર ડિસેબલ આઇ.ટી.આઇ.ના પ્રિન્સિપાલ લઘુશંકા કર્યા પછી અચાનક ઢળી પડતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો.
યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનું આયોજન આજે આજવા રોડ પંડિત દીનદયાળ હોલ ખાતે ગૃહ રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં થયું હતું. જિલ્લા રોજગાર ભરતી મેળાના માધ્યમથી રોજગારી મેળવનાર ઉમેદવારોને પત્રો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં હાજર ડિસેબલ આઇ.ટી.આઇ.ના દિવ્યાંગ આચાર્ય તેજસ વાસુદેવભાઇ દરજી, ઉં.વ.૪૪ (રહે.તેજલ પાર્ક સોસાયટી, તરસાલી તળાવ પાસે, તરસાલી) પણ હાજર હતા. બપોરે દોઢ વાગ્યે તેઓ લઘુશંકા કરવા ગયા હતા. ત્યારબાદ અચાનક તેઓ ઢળી પડતા તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. બાપોદ પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા તેમના મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. તેમનો પુત્ર ધો.૧૨ માં અભ્યાસ કરે છે.










