![]()
Surat Corporation : સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ડામર અને સિમેન્ટના રસ્તા બાદ હવે બ્રિજ પર પણ ગાબડાં જોવા મળી રહ્યાં છે. પાલિકાના બ્રિજ સેલની નબળી કામગીરીને કારણે જહાંગીરપુરા ડભોલીને જોડતા રોડ પર પણ ઠેક ઠેકાણે થીંગડા જોવા મળી રહ્યાં છે ત્યારે હવે તાપી નદી પર બનેલા ચોક-અડાજણને જોડતા બ્રિજ પર ગાબડામાંથી દેખાતા સળીયા અકસ્માતને આમંત્રણ આપી રહ્યાં છે. થોડા સમય પહેલાં જ બ્રિજ બનાવવામાં આવ્યો છે પરંતુ તેમાં ગાંબડા પડી જતાં કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
સુરત શહેરમાં છેલ્લા કેટલાક વખતથી બિસ્માર ડામર રોડના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલિકા રોજ ખાડા પુરવાની યાદી જાહેર કરે છે પરંતુ શહેરમાં અનેક વિસ્તારમાં ખાડાની સંખ્યા એટલી છે કે લોકોએ વાહન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. શહેરમાં સંખ્યાબંધ ડામરના રોડ તો તુટ્યા છે પરંતુ સિમેન્ટ કોંક્રિટ રોડ બનાવવામાં પણ વેઠ ઉતારવામાં આવી હોવાની અનેક ફરિયાદ બહાર આવી રહી છે.
સુરતને નવી કનેક્ટીવીટી મળે તે માટે કેનાલ રોડ પર આવેલી રોયલ ડાઈંગથી હજીરા તરફના રોડની કામગીરી 16.27 કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો છે. રોયલ ડાઈંગથી પાલ ગૌરવપથ તરફ 850 મીટરના રોડની કામગીરી પૂરી કરી છે. રોડની કામગીરી પૂરી થઈ છે પરંતુ રોડની બંને તરફ વાઈડીંગની કામગીરી હજુ ચાલી રહી છે. છ મહિના પહેલા આ રોડ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ રોડની કામગીરીમાં વેઠ ઉતારી હોવાથી છ મહિના પણ થયાં નથી અને સીસી રોડ પર અનેક જગ્યાએ ખાડા પડ્યા છે તો કેટલીક જગ્યાએ લાંબી તિરાડો પડી છે. આ કામગીરી થઈ પરંતુ હજુ કામગીરી પૂરી થાય તે પહેલાં જ ખાડા અને તિરાડો પડી હોવાથી કામગીરીની ગુણવત્તા અને મટીરીયલ્સ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
આ ફરિયાદનો નિકાલ આવ્યો નથી ત્યાં ચોક બજારથી અડાજણ તરફ આવતા તાપી નદીના બ્રિજ પર ખાડા જોવા મળે છે અને તેમાંથી સળીયા પણ બહાર આવી રહ્યાં છે. જો આ સળીયા વધુ બહાર આવે તો ટુ વ્હીલરને મોટો અકસ્માત થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. આ બ્રિજમાં ખાડા અને સળીયા દેખાતા થઈ જતા હોય તો બ્રિજ બનાવવાની કામગીરીમાં વેઠ ઉતારી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. જો પાલિકા તંત્ર આ બ્રિજને તાત્કાલિક રીપેર નહી કરે તો ખાડા મોટા થશે અને સળિયા બહાર નીકળી આવશે તે શક્યતા નકારી શકાતી નથી.










