Gujarat Local Polls: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જવાબદારી ગુજરાત ભાજપના ખભે નાંખી દેવાઈ છે. ભાજપના ટોચના નેતાઓ આસામ સહિત પાંચેય રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થયાં છે જેના કારણે દિલ્હીથી ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે નહીં. માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન માટે અમદાવાદ આવે તેવી શક્યતા છે.
પાંચ રાજ્યોની ચૂંટણીમાં રાષ્ટ્રીય નેતૃત્વ વ્યસ્ત
દેશના કેરળ, આસામ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપનું શીર્ષ નેતૃત્વ આ ચૂંટણીમાં વ્યસ્ત બન્યું છે. ટોચના બધા નેતાઓ ચૂંટણી પ્રચારમાં જોડાયાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની બધીય જવાબદારી ગુજરાત ભાજપના ખભે નાંખી દેવાઈ છે જેના પગલે સ્ટાર પ્રચારકો તરીકે સ્થાનિક નેતાઓ જનસભા ગજવી રહ્યા છે. હવે જ્યારે ચૂંટણીને આડે છ દિવસ બાકી રહ્યાં છે ત્યારે એકેય રાષ્ટ્રીય નેતા હજુ સુધી ગુજરાત આવ્યા નથી.
નગરપાલિકાથી પંચાયત સુધીની ચૂંટણીનો જંગ
આ ઉપરાંત વિધાનસભાની સેમિફાઇનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવી ભાજપ માટે જરૂરી છે જેના પગલે મંત્રીઓ, ભાજપના પ્રદેશ નેતા અને કાર્યકરોને પણ પાંચેય રાજ્યમાં પ્રચાર માટે મોકલવામાં આવ્યા નથી. અત્યારે બધાને 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી જીતાડવાના કામે લગાડી દેવાયાં છે.
આ પણ વાંચો: અમદાવાદના મેયર પદનો અનોખો ઇતિહાસ: કોઈ 6504 દિવસ તો કોઈ માત્ર 61 દિવસ જ રહ્યા પદ પર
એટલું જ નહીં, આ વખતે તો ધારાસભ્યો, સાંસદોથી માંડીને પ્રદેશ નેતાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવાની જવાબદારી સોંપાઈ છે. એટલું જ નહીં, ગત વખત કરતા સારું પરિણામ આવે તે માટે ચૂંટણી આયોજન કરાયું છે.











