![]()
ગીરની શાન સમાન સિંહોની રેવન્યુમાં દયનીય સ્થિતિ : સરકાર સિંહ સંરક્ષણની સફળતા અને ગાથાનું ગૌરવ વૈશ્વિક મંચ પર લઈ જવા તૈયારી કરે છે ત્યારે સામે આવેલી વાસ્તવિકતા
જૂનાગઢ, : એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગીર પંથકમાં વન્યજીવોની સુરક્ષા અને તેમના કુદરતી ખોરાકને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા હૃદયદ્રાવક વિડીયોમાં એક સિંહણ જંગલના રાજાની ગરિમા ભૂલીને માનવ વસાહત નજીકના ઉકરડામાં પ્લાસ્ટિકના કોથળા વીંખીને ખોરાક શોધતી જોવા મળી રહી છે.
આ દ્રશ્યો ગીરની બોર્ડર પર વન્યજીવોની કેવી દશા છે તેનો જીવંત પુરાવો આપી રહ્યા છે. અગાઉ હરણ અને નીલગાય જેવા શાકાહારી પ્રાણીઓ પ્લાસ્ટિક ખાતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા પરંતુ હવે સિંહ જેવા શિકારી પ્રાણીઓ પણ કચરાના ઢગલામાં મોઢું મારવા મજબૂર બન્યા છે જે વન વિભાગની કામગીરી અને પ્રવાસન સ્થળો પર ફેલાતા પ્લાસ્ટીકના પ્રદૂષણ સામે લાલબત્તી સમાન છે. આવતીકાલે સાસણમાં સિંહ સંરક્ષણની વૈશ્વિક સફળતા અને સાવજોની સંરક્ષણ ગાથાનું ગૌરવ લઈ તેને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે કેન્દ્રીય વનમંત્રી, સીએમ સહિતનાઓ હાજર રહેવાના છે ત્યારે જ ગીરની બોર્ડર પરની આવી વાસ્તવિકતા સામે આવીએ ઊભી છે.
ઉકરડામાં રહેલું પ્લાસ્ટિક જો સિંહણના પેટમાં જાય તો તેના માટે ગંભીર સાબિત થઈ શકે છે. રેવન્યુ વિસ્તારની જેમ જંગલ વિસ્તારમાં સહેલાઈથી શિકાર મળતો નથી. વન્યજીવો ખોરાક માટે ગામડાઓ અને માનવ કચરા તરફ વળી રહ્યા છે જે ભવિષ્યમાં મોટી હોનારત નોતરી શકે છે. વન્યજીવ પ્રેમીઓ આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે ગીરની બોર્ડર પર પ્લાસ્ટિક મુક્ત અભિયાન સઘન બનાવવામાં આવે તેમજ વન્યજીવોને તેમના કુદરતી રહેઠાણમાં પૂરતો ખોરાક મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તે સિંહ અને ગીર માટે જરૂરી બની ગયું છે. ગીરની અસ્મિતાને બચાવવા માટે પ્લાસ્ટિકનો ત્યાગ કરી ખરા અર્થમાં વન્યજીવોના અસ્તિત્વ માટે જાગૃતતા લાવવી જરૂરી છે.










