![]()
– ગણ્યા ગણાય નહિ, વીણ્યા વિણાય નહી તોય મારા આભલામાં માય જેવી પંક્તિ ઈતિહાસ બનીને રહી જશે
– દેશમાં નીતિના અભાવે ગામડાંઓમાં પણ વિકાસના કારણે લાઈટ પોલ્યુશન વધતાં નભોદર્શન મુશ્કેલ
– તારા સુસ્પષ્ટ જોઈ શકવાના સ્કેલની રીતે ભારતનાં મોટાભાગનાં શહેરોનું રાત્રિ આકાશ ધૂંધળું બન્યું
નવી દિલ્હી : આજથી વર્ષો પહેલાં કુદરતના ખોળે જેમણે બાળપણ માણ્યું છે તેવાં હવે મોટેરાં થઈ ચૂકેલાં બાળકોને ‘ગણ્યા ગણાય નહિ, વીણ્યા વિણાય નહીં તોય મારા આભલામાં માય..બોલો શું .’એ ઉખાણાંની પંક્તિ યાદ હશે. આ ઉખાણાનો જવાબ હતો આકાશના તારા. રોજ રાતે આકાશમાં ઝળહળતા અસંખ્ય તારા જોઈ બાળકો મુગ્ધ બની જતા હતા. પરંતુ, હવે તાજેતરનાં વર્ષોમાં કહેવાતા વિકાસ, આધુનિકીકરણ તથા ગામડાંઓના પણ ઝડપભેર થઈ રહેલાં શહેરીકરણના કારણે સમગ્ર ભારતનું આકાશ ઝાંખું થઈ રહ્યું છે. આકાશ તો ત્યાંનું ત્યાં જ છે, તેમાં નહિ સમાતા પેલા તારાઓ પણ ત્યાંના ત્યાં છે પરંતુ ધરતી પરથી તેની દ્રશ્યગોચરતા ઘટી ગઈ છે અને આજથી થોડા દાયકા પહેલાં આપણને રાતે જેટલા તારા દેખાતા હતા તેટલા હવે નથી દેખાતા અને હવે રાત્રિનું આકાશ ઉત્તરોત્તર ધૂંધળું થઈ રહ્યું હોવાથી અંતરિયાળ ગામો તથા વનવગડામાં પણ આગામી વર્ષોમાં અત્યારે દેખાય છે તેટલા તારા પણ નહીં દેખાય.
મુંબઈના તાતા ઈન્સ્ટિટયૂટ ઓફ ફન્ડામેન્ટલર રિસર્ચના પ્રોફેસર અનિકેત સૂળેએ પોતાનો સ્વાનુભવ વર્ણવતાં કહ્યું હતું કે ૯૦ના દાયકામાં તેઓ મુંબઈથી દૂર વાંગણી ગામમાં રહેતા હતા તેમને આકાશમાં તારા તો ઠીક પણ દૂધગંગા તરીકે ઓળખાતી આપણી આકાશ ગંગાનો તેજલિસોટો પણ સ્પષ્ટ દેખાતો હતો. કમનસીબે હવે વાંગણીમાં પણ એવી આકાશગંગા દેખાતી નથી.
ખગોળ શામાં રાત્રિના આકાશની તેજસ્વીતાને માપવા માટે બોર્ટલ સ્કેલનો ઉપયોગ થાય છે. આ સ્કેલ અમેરિકી વિજ્ઞાાની જોન બોર્ટલએ ૨૦૦૧માં તૈયાર કર્યો હતો. આ સ્કેલમાં એકનો આંકં હોય એટલે પૃથ્વીની એવી સૌથી અંધારી જગ્યા જ્યાંથી રાત્રિનું આકાશ એટલું ચોખ્ખું દેખાય કે આકાશગંગાની પણ છાયા વર્તાતી હોય બીજી તરફ આ સ્કેલનો નવનો આંક એટલે સૌથી ધૂંધળું આકાશ. અહીં રાતના મોટાભાગના તારા સુસ્પષ્ટ જોઈ શકાતા નથી. કમનસીબે ભારતનાં મોટાભાગનાં શહેરોમાં આ સ્કેલ હાલ નવનો છે. આ શહેરમાં આકાશમાં કેસરી રંગની ઝાંય દેખાયા કરે છે. જેની પાછળ મોટાભાગના તારા ઢંકાયેલા રહે છે.
ભારતમાં એકમાત્ર લદ્દાખનું હાનલે એવું સ્થળ છે જ્યાં આ સ્કેલ એકનો છે. દિલ્હીમાં આ સ્કેલ નવનો છે જ્યારે મુંબઈમાં આઠનો છે. આ જ કારણસર લદ્દાખ સરકારે ડિસેમ્બર ૨૦૨૧માં હાનલેને ભારતનું ડાર્ક સ્કાય રિઝર્વ જાહેર કર્યું છે. એ પછી ૨૦૨૪ની ૧૧મી જાન્યુઆરીએ મહારાષ્ટ્રનાં પેંચ ટાઈગર રિઝર્વને પણ ભારતનાં ડાર્ક સ્કાય પાર્ક તરીકે માન્યતા અપાઈ છે. તમિલનાડુમાં પણ એક ડાર્ક સ્કાય સાઈટ શરૂ કરવામાં આવી છે.
પરંતુ, આ બધું સરી જતી રેતીને પકડવાના પ્રયાસો જેવું છે. એ હકીકત છે કે ભારતનું મોટાભાગનું આકાશ લાઈટ પોલ્યુશનના કારણે ધૂંધળું થઈ ગયું છે. હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિકાસ પહોંચતાં રાત્રિના સ્ટ્રીટ લાઈટ્સ ઝળાંહળાં રહેતી હોય છે. આ ઉપરાંત હાઈવે પરની લાઈટ્સ, વિવિધ ઈન્ફ્રા પ્રોજેક્ટસની લાઈટ્સ વગેરે લાઈટ પોલ્યુશનમાં ઉમેરો કરે છે. મુંબઈ, દિલ્હી જેવાં શહેરોમાં હવે સ્ટાર ગેઝિંગ ટ્રીપ્સ ગોઠવાય છે જેમાં શહેરીજનો હોંશે હોંશે તારા નિહાળવા ટૂર પર જાય છે. કોઈ ધૂમકેતુ કે અન્ય ખગોળીય પદાર્થ દેખાવાનો હોય ત્યારે શહેરથી દૂરના વિસ્તારમાં આવી ટૂર ગોઠવાય છે. આમ તારા જોવા જે એક સાહજિક, નૈસગક પ્રકૃત્તિ દત્ત અહેસાસ હતો તે હવે સુદૂર ટૂરિઝમનો વિષય બની ગયો છે.
એક સંશોધન લેખ અનુસાર ૨૦૧૧થી ૨૦૨૨ વચ્ચે વિશ્વમાં આકાશની તેજસ્વીતામાં દર વર્ષે ૯.૬ ટકાનો વધારો થયો છે. દર આઠ વર્ષે આ તેજસ્વીતા બમણી તઈ રહી છે. કોઈ બાળક એવાં સ્થળે જન્મે કે જ્યાંથી આકાશમાં રાતે ૨૫૦ તારા દેખાતા હોય તો ૧૮મા જન્મદિવસે તેને ત્યાંથી ૧૦૦ તારા પણ માંડ દેખાશે. ડો. અનિકેત સુળે કહે છે કે ભારતમાં સ્ટ્રીટલાઈટ્સના બલ્બના એંગલ કઈ રીતે રાખવા તેનો કોઈ નિયમ જ નથી. હાલ એંગલ ને લીધે પ્રકાશના કારણે આકાશ પણ ઢંકાઈ જતું હોય છે. આ એંગલમાં સ્થાનિક સુધરાઈઓ સ્વેચ્છાએ કોઈ ફેરફાર કરી શકે છે. મુંબઈમાં ટીઆઈએફઆરનાં કેમ્પસમાં એસ્ટ્રોનોમી ઓલિમ્પિયાડ પ્રોગ્રામ માટેનું નોડલ સેન્ટર છે. અહીં યુવા ખગોળ વિદ્યાર્થીઓ તાલીમ માટે આવે છે પરંતુ આ વિસ્તાર મુંબઈના સૌથી પ્રદૂષિત વિસ્તારોમાંનો એ છે. તેઓ કહે છે કે જો અમારાં કેમ્પસમાંથી જ તારા ન જોઈ શકાતા હોય તો વિદ્યાર્થીઓને નભોદર્શન શીખવવું કેવી રીતે તે એક સવાલ છે. પેંચ અભ્યારણમાં છેલ્લાં ૩ વર્ષમાં ૧૦થી ૨૦ ટકા પ્રદૂષણ વધ્યું છે. અહીં પર્યટકોનાં વાહનો નહિ પરંતુ આસપાસમાં આવેલાં ગામોમાં વધતી સ્ટ્રીટલાઈટ્સ તથા અન્ય પ્રોજેક્ટસની લાઈટ્સના કારણે લાઈટ પ્રદૂષણ વધી ગયું છે. પેંચમાં તો હવે આ બાબતે સ્થાનિક ગ્રામજનોને જાગૃત કરાઈ રહ્યા છે. પરંતુ, હાનલેમાં તો પર્યટકોના વાહનોના લાઈટ બીમથી લાઈટ પ્રદૂષણ વધી રહ્યું છે. ભારતમાં પર્યાવરણલક્ષી અનેક સમસ્યા છે અને તેમાં પણ લાઈટ પોલ્યુશન એ પણ એક સમસ્યા હોઈ શકે છે તે બાબતે હજુ નીતિ ઘડવૈયાઓનું ધ્યાન જ ગયું નથી. લાઈટ પોલ્યુશન માત્ર તારા જોવા બાબતે નથી. વાસ્તવમાં વન્ય વિસ્તારોમાં અમુક જીવાતો, પ્રાણીઓનાં જીવન સંરક્ષણ માટે પ્રગાઢ અંધકાર બહુ મહત્વનો હોય છે. લાઈટ પોલ્યુશન વધશે અને અંધકાર ઘટશે તો એ પ્રજાતિઓનું પણ નિકંદન નીકળી જવાનો ભય છે.










