![]()
World Summit for Social Development: ભારતે બુધવાર (5 નવેમ્બર, 2025)ના રોજ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની ટિપ્પણી બાદ આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતે આકરાં વલણમાં કહ્યું કે, પાકિસ્તાન પોતાના વિકાસથી જોડાયેલા ગંભીર પડકારો પર ધ્યાન આપે. તેઓ ભારત પર ખોટા આરોપો લગાવવાનું બંધ કરે.
મંગળવારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના ભારત પર આરોપ લગાવ્યો હતો કે દિલ્હી પાણીને હથિયારની જેમ ઉપયોગ કરી રહ્યું છે. આ ટિપ્પણી બાદ ભારત સરકારના મંત્રી મનસુખ માંડવિયાએ કતારની રાજધાની દોહામાં આયોજિત વર્લ્ડ સમિટ ફોર સોશિયલ ડેવલોપમેન્ટના મંચથી પાકિસ્તાની રાષ્ટ્રપતિની ઝાટકણી કાઢી.
વર્લ્ડ સમિટમાં શું બોલ્યા મનસુખ માંડવિયા?
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ દોહામાં વર્લ્ડ સામાજિક વિકાસ શિખર સંમેલનમાં કહ્યું કે, પાકિસ્તાનને ભારતના આંતરિક મામલાઓમાં ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી અને વૈશ્વિક મંચોનો દુરૂપયોગ કરવાનું બંધ કરી દેવો જોઈએ.
‘આંતરરાષ્ટ્રીય મંચનો દુરૂપયોગ કરી રહ્યું છે પાકિસ્તાન’
મંત્રી મનસુખ માંડવિયાએ ભાર આપતા કહ્યું કે, પાકિસ્તાન ભારતીય નાગરિકો વિરૂદ્ધ બોર્ડર પાર આતંકવાદની ગતિવિધિઓમાં લિપ્ત છે. પાડોશી દેશ આત્મચિંતન કરે. ભારત વિરૂદ્ધ આ પ્રકારનો દુષ્પ્રચાર ફેલાવીને પાકિસ્તાન દુનિયાનું ધ્યાન સામાજિક વિકાસથી હટાવવા માટે આંતરરાષ્ટ્રીય મંચનો દુરૂપયોગ કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે, ‘સિંધુ જળ સંધિના સંદર્ભમાં પાકિસ્તાને દુશ્મનાવટ અને સરહદ પાર આતંકવાદ દ્વારા સંધિની ભાવનાને સતત નબળી પાડી છે. તેણે ભારતના કાયદેસર પ્રોજેક્ટ્સને અવરોધવા માટે સંધિની જોગવાઈઓનો વારંવાર દુરુપયોગ કર્યો છે.’
‘પાકિસ્તાનને કાશ્મીર પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી’
માંડવિયાએ કહ્યું, ‘જ્યાં સુધી ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનો સવાલ છે, પાકિસ્તાનને ભારતના આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. આ ખાસ કરીને ત્યારે સાચું છે જ્યારે પાકિસ્તાન ભારતીય નાગરિકો સામે સરહદ પારથી આતંકવાદમાં સામેલ થવાનું ચાલુ રાખે છે.’
તેમણે કહ્યું, ‘પાકિસ્તાને પોતાના વિકાસના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે આ જ મુદ્દાઓ છે જેના કારણે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાયના ભંડોળ પર નિર્ભર બન્યું છે.’










