![]()
વડોદરાઃ નંદેસરીમાં જૂની અદાવતને કારણે ઘરમાં ઘૂસીને એક યુવક ઉપર ધારિયા,પાઇપ અને લાકડી વડે હિચકારો હુમલો થતાં ઇજાગ્રસ્ત યુવકને સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. પોલીસે હુમલો કરનાર ભાજપના વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ(હાલ કોંગ્રેસ)અને તેના ચાર સાગરીતો સામે ગુનો નોંધ્યો છે.
નંદેસરીના શિવાજીનગર ફળિયામાં રહેતા ૬૮ વર્ષીય રેખાબેન સિંધાએ પોલીસને કહ્યું છે કે,મારા પુત્ર રાજવીરસિંહ સિંધાની પત્ની અરૃણા ત્રણ વર્ષથી પિયર ચાલી ગઇ છે અને તેમના કેસ પણ ચાલી રહ્યા છે.જેથી ગઇકાલે કોર્ટમાં તારીખ હોવાથી મારો પુત્ર રાજવીર કોર્ટમાં ગયો હતો.રાજવીરે મને કહ્યું હતું કે,રાજેન્દ્ર લાલા સાથે કોર્ટમાં ઝઘડો થયો હતો.
સાંજે પોણાપાંચેક વાગે ઘેર આવીને રાજવીર આરામ કરતો હતો ત્યારે અચાનક રાજેન્દ્ર ઉર્ફે લાલો મંગળસિંહ ગોહિલ,ઠાકોર ઉર્ફે યુસુફ રતનસિંહ પરમાર(રૃપાપુરા), બાબુ સુનિલભાઇ પટેલ,હર્ષવર્ધન સુરેશભાઇ ગોહિલ અને એક દાઢીવાળો યુવક ધારિયું, પાઇપ અને દંડા જેવા સાધનો સાથે ધસી આવ્યા હતા.
આ વખતે રાજેન્દ્ર ગોહિલે મારા પુત્રના માથા અને છાતીમાં પાઇપના ફટકા માર્યા હતા.જ્યારે,દાઢીવાળા યુવકે ધારિયાના હાથા વડે આડેધડ ફટકા માર્યા હતા.અન્ય હુમલાખોરોએ દંડા વડે આખા શરીરે ફટકા માર્યા હતા.મેં બૂમરાણ મચાવતાં હુમલાખોરો ભાગી ગયા હતા.ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં લઇ જવાતાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.નંદેસરી પોલીસના પીઆઇ બીડી જાડેજાએ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વડોદરા તા.પં.ની સભામાં ગેરહાજર રહેતાં રાજેન્દ્રએ ઉપપ્રમુખ પદ ગુમાવ્યું હતું
વડોદરા તાલુકા પંચાયતના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલે ભાજપ છોડતાં કોંગ્રેસે ટિકિટ આપી હતી,પરંતુ તેઓ પેટાચૂંટણીમાં હાર્યા હતા.
પૂર્વ ધારાસભ્ય મંગળસિંહ ગોહિલના પુત્ર રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો વર્ષ-૨૦૨૧ની ચૂંટણીમાં વડોદરા તાલુકા પંચાયતની નંદેસરી બેઠક પરથી ભાજપમાંથી ચૂંટાતા તેમને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બનાવાયા હતા.પરંતુ ત્રણ સભામાં સતત ગેરહાજર રહેતાં તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અને તેમણે સભ્ય પદ ગુમાવ્યું હતું.
ત્યારબાદ ગયા વર્ષે નંદેસરીની બેઠક પર પેટાચૂંટણી થઇ હતી.જેમાં ભાજપને છોડી રાજેન્દ્રસિંહે કોંગ્રેસનો હાથ પકડતાં તેમને ટિકિટ આપવામાં આવી હતી.પરંતુ રાજેન્દ્રસિંહનો પરાજય થયો હતો.










