![]()
– બે સગા ભાઈઓ સહિત 25 વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુનો
– ઉત્તરસંડાના જમીન માલિક અને ભાણેજ વાવેતર કરવા ગયા ત્યારે ‘જમીનમાં પ્રવેશવું નહીં’નું બોર્ડ લાગેલું હતું
નડિયાદ : નડિયાદના ઉત્તરસંડાના ખેડૂત ભૂમેલ સીમમાં પોતાની જમીનમાં વાવેતર કરવા ગયા ત્યારે સીમમાં રહેતા શખ્સોએ જમીનમાં તમારો હક નથી કહી હથિયારોથી હુમલો કરી મારી નાખવાની ધમકી આપી જમીન પચાવી પાડી હતી. આ અંગે કલેક્ટરના હુકમ બાદ વડતાલ પોલીસે બે સગાભાઈ સહિત ૨૫ શખ્સો વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ કર્યો છે.
નડિયાદ તાલુકાના ઉત્તરસંડામાં સપનાબેન પટેલ રહે છે. તેમના દિયરો તેમજ અન્ય સગા સંબંધીઓ અમેરિકામાં સ્થાયી થયેલા છે. તેઓની ખેતીની જમીન ભૂમેલ સીમમાં આવેલ છે. તા.૨૧/૭/૨૦૨૪ના રોજ સપનાબેન અને તેમના ભાણેજ હર્ષ સૂર્યકાંત પટેલ (મૂળ રહે. શિવરાજપુર, પંચમહાલ હાલ રહે. જુના ડુમરાલ રોડ, નડિયાદ) ખેતરમાં ડાંગર બાજરીનું વાવેતર કરવા ગયા હતા. ત્યારે તેમના ખેતરમાં પ્રવેશવાના રસ્તા પર આ જમીનમાં પ્રવેશ કરવો નહીં તેવું મનુભાઈ છોટાભાઈ વાઘેલાએ બોર્ડ લગાવ્યું હતું. જેથી તેઓ સામાવાળાની પાસે જતા મનુભાઈ વાઘેલા તેમજ તેમના સંબંધીઓએ આ જમીનમાં તમારો કોઈ હકક દાવો નથી તેમ કહી હથિયારોથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ ભૂમેલમાં રહેતા મનુભાઈ છોટાભાઈ વાઘેલા અને તેમના સંબંધીઓએ જમીન પચાવી પાડી હતી. આ અંગે હર્ષ સૂર્યકાંત પટેલે પાવર ઓફ એટર્નીના આધારે ન્યાય મેળવવા કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. જે અંગે કલેકટરે લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધવા હુકમ કર્યો હતો. આ અંગે હર્ષ સૂર્યાકાંત પટેલની ફરિયાદના આધારે વડતાલ પોલીસે મનુભાઈ છોટાભાઈ વાઘેલા, રમણભાઈ છોટાભાઈ વાઘેલા સહિત ૨૫ શખ્સો સામે લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.










