![]()
– ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો
– અમદાવાદથી સુરત જતી ટ્રકનું ટાયર ફાટતા આગ લાગતા અનાજનો જથ્થો બળીને ખાક
નડિયાદ : નડિયાદ પાસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોડી રાત્રે ઘઉં ભરેલી ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. ટાયર ફાટવાના કારણે લાગેલી આગમાં ટ્રક અને અનાજનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.
નડિયાદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગઈકાલે મોડી રાત્રે આગનો બનાવ સામે આવ્યો હતો. અમદાવાદથી ઘઉંની બોરીઓ ભરીને સુરત તરફ જઈ રહેલી એક ટ્રક નડિયાદ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક ટ્રકનું ટાયર ધડાકાભેર ફાટયું હતું. ચાલકે સમયસૂચકતા વાપરી ટ્રકને હાઈવેની સાઈડમાં ઉભી કરી દીધી હતી. જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.
જોકે, ટાયર ફાટયાના ગણતરીના સમયમાં જ પાછળના ભાગેથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ટ્રકમાં ઘાસની બોરીઓ જેવો સૂકો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી અને સમગ્ર ટ્રક આગની લપેટમાં આવી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનાને પગલે એક્સપ્રેસ હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો.










