![]()
વડોદરા : વર્ષ ૨૦૨૧માં ગુજસીટોકનો વડોદરામાં પહેલો ગુનો બિચ્છૂ ગેંગ
વિરૃદ્ધ દાખલ થયો હતો,જેમાં નામચીન અસલમ બોડિયો હાલ રાજકોટ જેલમાં હોઇ
તેણે વડોદરા, છોટાઉદેપુર, ભરુચ અથવા
બાલાસિનોરની જેલમાં તેને ટ્રાન્સફર કરવા માટે અરજી કરતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી.
ઉલ્લેખનીય છે કે, બિચ્છુ ગેંગ સામે હત્યા, હત્યાનો
પ્રયાસ, અપહરણ તેમજ ખંડણી સહિતના ૨૦૨ જેટલા ગુના નોંધાયેલા
છે જેમાં ગેંગ લીડર અસલમ હૈદરમીયા શેખ ઉર્ફે અસલમ બોડિયા સામે ૬૪ ગુનાઓ દાખલ થયેલા
છે. ક્રાઇમ બ્રાન્ચે વર્ષ ૨૦૨૧માં અસલમ
બોડિયાની ધરપકડ કર્યા બાદ વડોદરાથી તેની જેલ ટ્રાન્સફર કરીને નડિયાદ તેમજ ગાંધીધામ
જેલમાં મોકલી અપાયો હતો અને હાલ તે રાજકોટની જેલમાં હોઇ તેણે વડોદરા, નડિયાદ,બાલાસિનોર અથવા તો છોટાઉદેપુર જેલમાં તેની
ટ્રાન્સફર કરવામાં આવે તે માટે કોર્ટમાં અરજી કરી હતી.
અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તેની
તબિયત સારી રહેતી નથી. તેના સંતાનો અભ્યાસ કરે છે અને પરિવાર આર્થિક મુશ્કેલીનો
સામનો કરતો હોઇ તેની જેલ ટ્રાન્સફર કરવામાં આવે. સુનાવણી દરમિયાન સરકાર તરફે રજૂઆત
કરવામાં આવી હતી કે, રાજકોટ જેલમાં સારવારની સુવિધા ખુબ જ
સારી છે. જેલમાં વિડિયો કોન્ફરન્સની સુવિધા હોવાથી તેના પરિવારને રાજકોટ આવવાની
જરુર નથી પરંતુ વીસી દ્વારા જ મુલાકાત કરી શકે છે. આરોપીને જેલ પસંદ કરવાની મંજૂરી
આપી શકાય નહી. ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ અરજદાર અસલમ બોડિયાની
અરજી નામંજૂર કરી હતી.










