![]()
નવી દિલ્હી,
તા. ૨૨
દિલ્હી હાઇકોર્ટે નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને
રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે. કોર્ટે આ કેસમાં કોંગ્રેસના બંને નેતાઓે પાસે જવાબ
માંગ્યો છે. ઇડીએ ટ્રાયલ કોર્ટના ચુકાદાને દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ઇડીની
અરજી પર દિલ્હી હાઇકોર્ટે બંને નેતાઓને નોટિસ ફટકારી છે.
ટ્રાયલ કોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં અગાઉ જ દિલ્હી
પોલીસની આર્થિક અપરાધ શાખા તપાસ કરી રહી છે. તેથી આ કેસમાં હવે મની લોન્ડરિંગ હેઠળ
કેસ આગળ વધારી શકાય તેમ નથી.
આ નિર્ણયને પડકારતા ઇડીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેના
સંદર્ભમાં બેન્ચે સોનિયા અને રાહુલ ગાંધીને નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે. આ
કેસની આગામી સુનાવણી હવે માર્ચમાં થશે.
આ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે ગાંધી પરિવારને મોટી રાહત આપી
હતી. જજે જણાવ્યું હતું કે આ કેસ મની લોન્ડરિંગ હેઠળ દાખલ કરી ન શકાય કારણકે તેની
શરૃઆત સુબ્રમણ્યમ સ્વામીની તરફથી ડાયરેક્ટ કોર્ટમાં આપવામાં આવેલી અરજીથી થઇ હતી.
આ કેસમાં એવું કશું ન હતું કે આર્થિક અનિયમિતતા પકડવામાં
આવી હોય અને ત્યારબાદ એફઆઇઆર દાખલ કરવામાં આવી હોય. આ સંજોગોમાં દિલ્હી
પોલીસની આર્થિક અપરાધ શાખાની તરફથી તપાસની
બાબતમાં કાર્યવાહી પૂર્ણ થવી દેવી જોઇએ.
કોર્ટના આ નિર્ણય પછી કોંગ્રેસ આક્રમક મોડમાં આવી ગઇ છે.
પાર્ટીએ જણાવ્યું છે કે કોર્ટે સરકારના બદલાના રાજકારણનો પર્દાફાશ કર્યો છે.
આ કેસની આગામી સુનાવણી માર્ચ, ૨૦૨૬માં થશે. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી અને રાહુલ
ગાંધીની આ કેસમાં પૂછપરછ પણ કરવામાં આવી છે.










