Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણો સામે આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. MGVCL અને રેવન્યુ વિભાગની ટીમને સાથે રાખીને માર્ગની બંને બાજુએ કરાયેલા કાચા-પાકા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

JCBની મદદથી દબાણો દૂર કરાયા
માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા અગાઉ આશરે 200 જેટલા દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી. નોટિસ મળ્યા બાદ કેટલાક દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કર્યા હતા, પરંતુ બાકીના દબાણો દૂર કરવા માટે તંત્રએ સખત કાર્યવાહી કરી હતી. દબાણકર્તાઓ દ્વારા રોડ પર કરાયેલા મકાન, દુકાન તેમજ લારી-ગલ્લા જેવા તમામ કાચા-પાકા દબાણોને JCB મશીનની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: રાજકોટમાં શિક્ષણ જગત શર્મસાર: લંપટ શિક્ષકે મહિલાને ફસાવી દુષ્કર્મ આચર્યું, 4.25 લાખ પડાવ્યા
સ્થળ પર પોલીસ કાફલો તહેનાત
દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 2 પીઆઈ અને 2 પીએસઆઈ સહિતનો મોટો પોલીસ કાફલો સ્થળ પર તહેનાત કરાયો હતો. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને કારણે રસ્તાઓ પરનો ટ્રાફિક સરળ બનશે અને લોકોને રાહત મળશે.










