![]()
Panchmahal News: પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગની ટીમ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં કાલોલ તાલુકાના વેજલપુર નજીકના ઘુસર ગામે આવેલી ગોમા નદીમાંથી રેતીનું ગેરકાયદે ખનન કરતા માફિયાઓ દ્વારા ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કર્યો હતો.
કાલોલમાં રેતી ચોરી પકડવા ગયેલી ખાણ-ખનીજની ટીમ પર જીવલેણ હુમલો
પંચમહાલમાં છેલ્લા કેટલાક સમયથી કાલોલ તાલુકાની હદમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે કાલોલમાં ગોમા નદીમાંથી ગેરકાયદે રેતીની હેરા-ફેરી થતા હોવાની જાણ પંચમહાલ ખાણ ખનીજ વિભાગની ટીમ દરોડા પાડ્યા હતા. જેમાં દરોડા દરમિયાન ખાણ ખનીજની ટીમે 5 પરમીટ વગરના ટ્રેકટર ઝડપી પાડ્યા હતા. તેવામાં ખનીજ માફિયાઓ અને ટ્રેકટર માલિકોએ ભેગા મળી ખનીજ વિભાગના કર્મચારીઓ પર પાવડા અને પથ્થર વડે હુમલો કરી દીધો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં કુદરતનો બેવડો માર: 6 જિલ્લામાં વરસાદની આગાહી, તો શનિવારથી ફરી ‘હીટવેવ’નો પ્રકોપ શરૂ થશે
આ દરમિયાન એક વ્યક્તિએ ખાણ-ખનીજના એક કર્મચારી પર ટ્રેક્ટર ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. સમગ્ર ઘટનામાં બે કર્મચારીઓને ઈજા પહોંચતા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આજ જગ્યાએ ખનીજ વિભાગ પર હુમલો થયો હોવાનું ખનીજ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. આ બાબતે ખનીજ વિભાગે પોલીસમાં અરજી કરી હતી.








