![]()
Punjab Police News : પંજાબ પોલીસના પૂર્વ ઈન્સ્પેક્ટર જનરલ (IG) અમર સિંહ ચહલે પટિયાલા સ્થિત પોતાના નિવાસસ્થાને સુરક્ષાકર્મીની રિવોલ્વરથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ તેમને ગંભીર હાલતમાં પટિયાલાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં સર્જરી બાદ તેમની સ્થિતિમાં સુધારો હોવાનું જાણવા મળ્યું છે.
8 કરોડનું ઓનલાઈન ફ્રોડ અને સુસાઈડ નોટ
ઘટનાસ્થળેથી પોલીસને 12 પાનાની સુસાઈડ નોટ મળી આવી છે. નોટમાં તેમણે પંજાબના DGP ગૌરવ યાદવનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે, તેમની સાથે આશરે 8.10 કરોડ રૂપિયાની સાયબર ઠગાઈ થઈ છે. આ છેતરપિંડીને કારણે તેઓ ભારે માનસિક તણાવ અને ડિપ્રેશનમાં હતા. તેમણે જણાવ્યું કે સાયબર ઠગોએ પોતાને ‘વેલ્થ ઈક્વિટી એડવાઈઝર’ અને DBS બેંકના પ્રતિનિધિ ગણાવીને તેમને લલચાવ્યા હતા.
ઠગાઈની મોડસ ઓપરેન્ડી
પૂર્વ IGએ પત્રમાં ખુલાસો કર્યો છે કે, વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપ દ્વારા તેમને શેરબજાર, IPO અને ટ્રેડિંગમાં રોકાણ કરી મોટો નફો મેળવવાની લાલચ આપવામાં આવી હતી. એક વ્યક્તિએ પોતાને બેંકનો CEO ગણાવી વિશ્વાસ જીત્યો હતો અને નકલી ઓનલાઈન ડેશબોર્ડ બતાવીને રોકાણ કરાવ્યું હતું. જ્યારે ચહલે પોતાના પૈસા પાછા કાઢવાનો પ્રયત્ન કર્યો, ત્યારે સર્વિસ ટેક્સ અને પ્રીમિયમ મેમ્બરશિપના નામે તેમની પાસેથી વધુ પૈસા પડાવવામાં આવ્યા હતા. તેમણે કુલ 8 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી હતી, જેમાંથી લગભગ સાત કરોડ રૂપિયા તેમણે અન્ય લોકો પાસેથી ઉધાર લીધા હતા.
આ પણ વાંચો : સોના-ચાંદીની કિંમતમાં જબરદસ્ત વધારો, હજુ પણ કિંમતો વધશે
DGP પાસે તપાસની માંગ
અમર સિંહ ચહલે સુસાઈડ નોટમાં DGP પાસે આ સમગ્ર કેસની તપાસ SIT અથવા CBI દ્વારા કરાવવાની માંગ કરી છે. આ સાથે તેમણે વિનંતી કરી છે કે જે લોકો પાસેથી તેમણે નાણાં ઉધાર લીધા છે તેમની સામે તેમના પરિવારને રક્ષણ આપવામાં આવે અને ઠગાઈની રકમ પરત અપાવવામાં આવે.
ચહલ ગોળીબાર કેસના આરોપી
નોંધનીય છે કે અમર સિંહ ચહલ વર્ષ 2015માં ફરીદકોટમાં થયેલા બહબલ કલાં અને કોટકપુરા ગોળીબાર કેસમાં પણ આરોપી છે. આ મામલે પંજાબ પોલીસની SITએ વર્ષ 2023માં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓના નામ સાથે ચહલનું નામ પણ સામેલ હતું. હાલ પટિયાલા પોલીસ આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને સાયબર ઠગાઈના તાર ક્યાં જોડાયેલા છે તેની વિગતો મેળવી રહી છે.
આ પણ વાંચો : ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોને કેટલું ફંડ મળ્યું, જાણો










