![]()
Ai News : ટર્મિનેટર ફ્રેન્ચાઈસી રચવા માટે પ્રસિદ્ધ થયેલા હોલીવૂડ દિગ્દર્શક જેમ્સ કેમેરુનએ વૈશ્વિક હથિયાર પ્રણાલીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) ભેળવવા બાબતે સખત ચેતવણી ઉચ્ચારી છે. ટર્મિનેટર 7ના શૂટ દરમ્યાન એક મુલાકાતમાં કેમેરુને કબૂલ કર્યું કે હવે વિજ્ઞાાન કથાનું આલેખન વધુને વધુ કઠિન કાર્ય થઈ રહ્યું છે કારણ કે વાસ્તવિકતા ખૂબ જ ઝડપથી આપણી કલ્પના સાબિત થઈ રહી છે અને કદાચ ટૂંક સમયમાં તે આપણાથી આગળ પણ નીકળી જશે.
તેમણે ચેતવણી આપી કે પરમાણુ અને અન્ય આધુનિક સંરક્ષણ પદ્ધતિઓ સાથે એઆઈને સંકલિત કરવાથી વાસ્તવિક જીવનમાં ટર્મિનેટર જેવો વિનાશ સર્જાઈ શકે. લશ્કરી નિર્ણય લેવાની પ્રક્રિયા એટલી ઝડપી હોય છે કે મનુષ્ય તેની બરાબરી નથી કરી શકતો જેના પરિણામે તેને એઆઈનો આવી ભૂમિકા માટે ઉપયોગ કરવાની લાલચ થઈ શકે છે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું કે મનુષ્ય માટે ભૂલ કરવું સ્વાભાવિક હોવા છતાં અને ભૂતકાળમાં વિશ્વને પરમાણુ વિનાશ નજીક લાવી ચુક્યો હોવા છતાં માનવીય નિયંત્રણ હજી પણ મહત્વપૂર્ણ છે.
કેમેરુને જણાવ્યું કે હાલ માનવજાત તેના અસ્તિત્વ સામે ત્રણ મહત્વપૂર્ણ જોખમોનો સામનો કરી રહી છે જેમાં આબોહવા પરિવર્તન, પરમાણુ હથિયારો અને હવે સૌથી બુદ્ધિશાળી એઆઈ સામેલ છે. કેમેરુને ચેતવણી આપી છે કે આ ત્રણે તેની ટોચે પહોંચી ચુક્યા છે અને અસાધારણ જોખમ સર્જી રહ્યા છે. કેમેરુને વ્યંગમાં નોંધ કરી કે સુપર ઈન્ટેલીજન્સ સમસ્યા ઉકેલી પણ શકે છે, જો કે તે વિનાશ પણ એટલી જ સરળતાથી લાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે કેમેરુન જેવી ચેતવણી અગાઉ એઆઈના ગોડફાધર ગણાતા જ્યોફરી હિન્ટન પણ ઉચ્ચારી ચુક્યા છે. હિન્ટને તાજેતરમાં ચેતવણી આપી હતી કે એઆઈ ટૂંક સમયમાં તેની પોતાની આંતરિક ભાષા વિકસાવશે જેને માનવીઓ સમજી નહિ શકે, જેના પરિણામે મશીન મશીન સાથે વાતચીત કરી શકશે અને તેમના વિચારની પ્રક્રિયાનો ટ્રેક માનવી રાખી અથવા સમજી નહિ શકે. આવા પરાવલંબનથી એઆઈ માનવીઓની જાણ બહાર જોખમી યોજનાઓ અમલમાં મુકી શકે છે.
કેમેરુન માટે 1984ના ટર્મિનેટર સાથે સમાનતા બની રહી છે જેમાં સ્કાઈનેટ તરીકે ઓળખાતું એઆઈ સંરક્ષણ નેટવર્ક માનવ વિરોધી થઈ જાય છે, તે બાબત હવે કલ્પના નથી રહી, પણ એક સંભવિત અને નજીક આવતું જોખમ બની ગયું છે.










