![]()
Vadodara Food Safety : આજથી શરૂ થયેલા પવિત્ર શ્રાવણ માસને અનુલક્ષીને ઉપવાસીઓને શુદ્ધ અને સારો આહાર મળી રહે એવા હેતુથી શહેરના વિવિધ વિસ્તારમાં વેચાણ થતા ફરાળી વાનગીઓના વિવિધ લોટ અંગે ચોખંડી વિસ્તારના લોટ ઘરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.
આ અંગેની વિગત એવી છે કે પવિત્ર શ્રાવણ મહિનો આજથી શરૂ થયો છે અને ભક્તો સહિત એકટાણા ઉપવાસ કરનારાઓને શુદ્ધ અને સાત્વિક આહાર મળી રહે એ અંગે શહેર મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા આરોગ્ય અધિકારીના નેજા હેઠળની એક ટીમ શહેરના વિવિધ વિસ્તારમાં ફરાળી વાનગીઓ અંગેના લોટનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
ચોખંડી વિસ્તારમાં ભીડભંજન હનુમાનની બાજુમાં આવેલા લોટ ઘર દ્વારા તૈયાર થતા ફરાળી લોટ અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં શિંગોડાનો લોટ, રાજગરાનો લોટ મોરિયાનો લોટ સહિત અન્ય ફરાળી લોટ બનાવવાની પ્રવૃત્તિ અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ દરમિયાન સ્વચ્છતા અને ગંદકી અંગે પણ લોટ ઘર સંચાલકનું ખાસ ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરના વિસ્તારમાં વેચાણ થતા ફરાળી લોટના વેપારીઓને ત્યાં પણ ઠેર-ઠેર સઘન ચેકિંગ પાલિકા આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે ચેકિંગ દરમિયાન કોઈ વાંધાજનક લોટ જણાયો ન હતો.










