![]()
Asaram Minor Rape Case : સગીરા પર દુષ્કર્મના કેસમાં દોષિત જાહેર થયેલા આસારામને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા છ મહિનાના વચગાળાના જામીનને રદ કરવાની અરજીમાં દખલ કરવાનો ઈનકાર કર્યો છે. આ નિર્ણયથી આસારામના છ મહિનાના જામીન યથાવત્ રહેશે.
કેસની ઝડપથી સુનાવણી પૂર્ણ કરી નિકાલ લાવો : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટને નિર્દેશ આપ્યો છે કે, આ મામલે ઝડપથી સુનાવણી પૂર્ણ કરીને આગામી ત્રણ મહિનામાં કેસનો નિકાલ લાવવામાં આવે. આસારામના જામીનને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન તેમના વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, ‘આસારામ લાચારીની હાલતમાં છે, તેઓની શૌચ સહિતની દૈનિક પ્રવૃત્તિઓમાં મદદની જરૂર પડે છે. આસારામ નિષ્ક્રિય અવસ્થામાં છે.’
પીડિતાના વકીલે કર્યો વિરોધ
જોકે, પીડિતા તરફથી હાજર રહેલા વકીલ શોભા ગુપ્તાએ આ દલીલોનો સખત વિરોધ કર્યો હતો. તેમણે કોર્ટમાં કહ્યું હતું કે, ‘આસારામ અંગે જે રજૂઆત કરવામાં આવી રહી છે તે સત્ય નથી. તેઓ સ્વસ્થ છે, તેથી સારવારના નામે આપવામાં આવેલી જામીન પરની તેમની મુક્તિ સમાપ્ત થવી જોઈએ.’
આ પણ વાંચો : ‘જો કોઈ ભૂલ કરશે તો…’ ઈન્ડિગોએ સંકટ ઉભું કર્યા બાદ કેન્દ્ર સરકારની તમામ એરલાઈન્સોને ચેતવણી
ગુજરાત હાઈકોર્ટમાંથી પણ મળ્યા છે જામીન
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન હાઈકોર્ટે 29 ઓક્ટોબરે આસારામને છ મહિનાના જામીન આપ્યા હતા. ત્યારબાદ 6 નવેમ્બરે ગુજરાત હાઈકોર્ટમાંથી પણ તેમને છ મહિનાના વચગાળાના જામીન મળ્યા હતા. ગુજરાત હાઈકોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, આસારામને હૃદય સંબંધિત બીમારી છે અને જોધપુર કોર્ટે પણ તેમને જામીન આપ્યા છે.
આસારામ 12 વર્ષથી જેલમાં
આસારામ હાલમાં આજીવન કારાવાસની સજા કાપી રહ્યા છે. 12 વર્ષ જેલમાં રહ્યા બાદ તેમને પ્રથમ વખત 7 જાન્યુઆરી-2025ના રોજ તબીબી આધાર પર વચગાળાના જામીન મળ્યા હતા, જેનો સમયગાળો જુલાઈ અને ત્યારબાદ ઓગસ્ટમાં લંબાવાયો હતો. જોકે, 27 ઓગસ્ટે જામીનનો સમયગાળો વધારવાની તેમની અરજીને ફગાવી દેવાતા તેમણે 30 ઓગસ્ટના રોજ આત્મસમર્પણ કર્યું હતું.
આ પણ વાંચો : શેર માર્કેટમાં ઈન્ડિગોનું ‘ક્રેશ લેન્ડિંગ’ ! ધડાક લેતા શેર તૂટ્યો










