![]()
Parliament Winter Session: કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જાહેરાત કરી છે કે સંસદનું શિયાળુ સત્ર આગામી પહેલી ડિસેમ્બર, 2025થી શરૂ થશે અને 19મી ડિસેમ્બર, 2025 સુધી ચાલુ રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સંસદનું શિયાળુ સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે માહિતી આપતા લખ્યું હતું કે, ‘અમે એક અર્થપૂર્ણ સત્રની આશા રાખીએ છીએ જે લોકશાહીને મજબૂત બનાવે અને લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરે.’
ટૂંકું સત્ર અને વિપક્ષનો હોબાળો નિશ્ચિત
અહેવાલો અનુસાર, સંસદનું આ શિયાળુ સત્ર અન્ય સત્રો કરતાં પ્રમાણમાં ટૂંકું રહેશે. એક તરફ બજેટ સત્ર ટૂંક સમયમાં શરૂ થવાનું છે, તો બીજી તરફ આ સત્રમાં રાજકીય મુદ્દાઓ પર ભારે હોબાળો થવાની શક્યતા છે. સંસદનું ચોમાસુ સત્ર 21મી જુલાઈથી 21મી ઓગસ્ટ સુધી ચાલ્યું હતું. આ સત્રમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) અને ઓપરેશન સિંદૂર જેવા મુદ્દાઓ પર ભારે હોબાળો થયો હતો. આ સત્રમાં કુલ 21મી બેઠકો યોજાઈ હતી, જેમાં રાજ્યસભામાં 15 અને લોકસભામાં 12 બિલ પસાર થયા હતા.
આગામી શિયાળુ સત્રમાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો અને રાજકીય ચર્ચાઓ ચોક્કસપણે સાંભળવામાં આવશે. વધુમાં, 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલી SIR પ્રક્રિયાનો વિપક્ષ વિરોધ કરી શકે છે. નોંધનીય છે કે, આ અગાઉ 2013નું શિયાળુ સત્ર ફક્ત 14 દિવસ ચાલ્યું હતું.
આ પણ વાંચો: ‘ચૂંટણી બાદ નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે..’, ભાજપના કદાવર નેતાએ મુંઝવણ દૂર કરી
આ મહત્ત્વપૂર્ણ બિલો પર ફોકસ
સરકાર આ શિયાળુ સત્રમાં કેટલાક મહત્વપૂર્ણ બિલોને પસાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જે મુખ્ય બિલો પસાર કરવાની સંભાવના છે તેમાં ‘પબ્લિક ટ્રસ્ટ બિલ’ અને ‘ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બિલ’નો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, સંસદનું શિયાળુ સત્ર 19 દિવસ સુધી ચાલશે, જેમાં સરકાર કાયદાકીય કામગીરી આગળ ધપાવવા અને વિપક્ષ સાથેના રાજકીય પડકારોનો સામનો કરવા તૈયાર છે.










