![]()
કોટ-રાધાકીશનમાં હાફીઝના ખાસ માણસને ગોળીથી વિંધી નંખાયો, જ્યારે BLAએ કવાત વિસ્તારમાં લશ્કરી વાહન બોમ્બથી ઉડાડી દીધું
નવીદિલ્હી: એક તરફ પાકિસ્તાન ઉપર ત્રાસવાદને પોષણ આપવા માટે દુનિયાભરમાંથી ફીટકાર વરસી રહ્યાં છે. ત્યારે ખુદ પાકિસ્તાન જ ત્રાસવાદી ગોળીબારનો ભોગ બની રહ્યું છે. ત્રાસવાદી સંગઠન લશ્કર એ તૈય્યબાના સ્થાપક અને સહ-સંચાલક હાફીઝ સઈદનો ખાસ માણસ મનાતો ૨૮ વર્ષનો શેખ મુયાઝ મુજાહીદ, પંજાબમાં લાહોરથી ૬૦ કી.મી. દૂર આવેલાં કોટ રાધા-કીશનમાં બે ટોળકીઓના સામ-સામા ગોળીબારમાં ઠાર મરાઈ ગયો છે. આથી મુયાઝના પિતાએ ૨૦ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. જોકે પોલીસે મુયાઝના હાફીઝ સઈદ સાથે કોઈ પણ સંબંધ હોવાનો ઇનકાર કર્યો છે.
પાકિસ્તાનના સતત અશાંત રહેતા બલુચિસ્તાન પ્રાંતમાં કવાન જિલ્લા પાસે મુનીરના માણસો (સૈનિકો) એક ક્વોન્વે (કેરેવાન) દ્વારા પસાર થતા હતા. ત્યારે તે વાહનો પૈકીનાં એક વાહન ઉપર બલુચી લિબરેશન પાર્ટીના વિપ્લવીઓએ બોમ્બ ફેંકી તે ઉડાડી દીધું હતું તેમ છતાં તેમાંથી કેટલાંક બહાર નીકળી શક્યા તેમને પણ ઠાર કર્યા હતા. આ વિપ્લવીઓએ પહેલાં રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડસ્ તે વાહન ઉપર ફેંક્યા હતા. ત્યાર પછી સ્નાઈપર એટેક કર્યો હતો. અન્ય વાહનોમાં સૈનિકો ઉતરી આવ્યા અને તેમની તથા વિપ્લવીઓ વચ્ચે ૫૦ મિનિટ સુધી સામ-સામા ગોળીબારો ચાલુ રહ્યા હતા. આ બલુચ વિપ્લવીઓએ બે બસ પણ સળગાવી દીધી હતી. જન.મુનીરે આ વિપ્લવીઓને દબાવવા રચેલા સ્પેશ્યલ સર્વિસ ગુ્રપના આ માણસો (સૈનિકો) હતા. તે કમાન્ડો પૈકી ૯નાં તો સ્થળ ઉપર જ મૃત્યુ થયાં હતાં. બીજા અનેક ગંભીર રીતે ઘાયલ થયા હતા.










