![]()
Vav-Tharad News : વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના સરદારપુરા ગામના ગ્રામજનોએ વર્ષો જૂની સમસ્યાઓનો ઉકેલ ન આવતા આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો સામુહિક બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ મામલે ગ્રામજનોએ કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી સ્પષ્ટ કર્યું છે કે, ‘જ્યાં સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ગામનો કોઈ પણ વ્યક્તિ મતદાન કરશે નહીં.’
વાવ-થરાદના સરદારપુરા ગામે ચૂંટણી બહિષ્કાર!
સ્થાનિકોએ જણાવ્યું કે, સરદારપુરા અને ભાખરી ગામ વચ્ચે માત્ર 3 કિ.મી.નું અંતર છે, પરંતુ પાકો ડામરનો રોડ ન હોવાથી ગ્રામજનોએ 21 કિ.મી. જેટલો લાંબો ફેરો મારવો પડે છે. ચૂંટણી સમયે નેતાઓ દ્વારા રોડ બનાવવાની ખાતરી આપવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ આ સમસ્યા ઠેરની ઠેર રહે છે. ગામની પશ્ચિમ દિશામાં આવેલી નર્મદા કેનાલ જમીનથી 3 ફૂટ ઊંચી હોવાથી ચોમાસા દરમિયાન ગામ અને ખેતરોનું વરસાદી પાણી નિકાલ પામતું નથી. આ પાણી ગામમાં ભરાતા કાચા મકાનો ધરાશાયી થઈ રહ્યા છે અને પાકા મકાનોમાં તિરાડો પડી રહી છે. નવા તાલુકા વિભાજન બાદ સરદારપુરાનો સમાવેશ ધરણીધર તાલુકામાં થયો છે, જેને કારણે વહીવટી અંતર અને અવરજવરની મુશ્કેલીઓ વધી છે.
ગ્રામજનોએ આવેદન પત્રમાં આક્રોશ સાથે જણાવ્યું છે કે, વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. આથી કંટાળીને ગ્રામજનોએ આગામી ચૂંટણીમાં મતદાન કરવાનો ઈનકાર કર્યો છે અને રાજકીય પક્ષના ઉમેદવાર કે કાર્યકર્તાએ પ્રચાર અર્થે ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ પણ વાંચો: VIDEO : વડોદરાના વધુ એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ, સમા મામલતદાર કચેરી બની સમરાંગણ, કાર્યકરો-પોલીસ વચ્ચે ઘર્ષણ
સરદારપુરા સમસ્ત ગ્રામજનો દ્વારા આ આવેદન પત્રની નકલ કલેક્ટર, નાયબ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, કમિશનર, મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષને પાઠવીને તાત્કાલિક યોગ્ય ઘટતું કરવા વિનંતી કરવામાં આવી છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તંત્ર દ્વારા સમયસર આ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં નહીં આવે તો ગ્રામજનો પોતાના નિર્ણય પર અડગ રહેશે.










