![]()
Ajit Pawar Son Parth Pawar Land Scam : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પુત્ર પાર્થ પવારે 300 કરોડનું જમીન કૌભાંડ આચર્યાનો મામલો સામે આવ્યા બાદ વિપક્ષે મહારાષ્ટ્ર સરકાર ગંભીર આક્ષેપ કર્યો છે. પુણેના કોરેગાંવ પાર્ક જેવા પોશ વિસ્તારમાં 1800 કરોડની કિંમત ધરાવતી સરકારી જમીન પાર્થ પવાર તથા તેમના ભાગીદારોને ફક્ત 300 કરોડ રુપિયામાં પધરાવી દેવાઈ હોવાનો તથા આ જમીન સોદાના દસ્તાવેજ પર ફક્ત ૫૦૦ રુપિયાની સ્ટેમ્પ ડયૂટી લેવાઈ હોવાના ઘટસ્ફોટ બાદ મહાયુતિ સરકાર ભીંસમાં મૂકાઈ છે. આ મામલે શિવસેના યુબીટીના નેતા અંબાદાસ દાનવેએ સરકાર પર આક્ષેપ કર્યો છે કે, ‘મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાર્થ પવારને બચાવવાના પ્રયાસમાં લાગી ગયા છે.
પાર્થ પવાર વિરુદ્ધ કેસ નોંધવાની માંગ
દાનવેએ પાર્થ પવાર વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરી છે અને આક્ષેપ કર્યો છે કે, ‘સીએમ ફડણવીસ પાર્થ પવારને બચાવવામાં કોઈપણ કસર છોડી રહ્યા નથી. આ વિવાદ સામે આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી અજિત પવારે ગુસ્સે થયા છે અને તેમણે રાજીનામું આપવાની સરકારને ઓફર કરી છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં નારાજ થયેલા અજિત પવારે રાજીનામું આપવાની અને સરકારને બહારથી સમર્થન આપવાની ઓફર કરી છે.’
આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ અલ-ફલાહ યુનિવર્સિટીને ઝટકો, AIUએ સભ્યપદ રદ કર્યું
ભાજપે એનસીપીને ફસાવવા માટે ગેમ રમી !
શિવસેના યુબીટી (Shiv Sena UBT)ના નેતાએ છત્રપતિ સંભાજીનગરમાં મીડિયા સાથે વાત કરતાં વધુમાં કહ્યું કે, ‘ભાજપને પુણેના જમીન ડીલ મામલે પહેલેથી જ ખબર હતી. ભાજપે આ ડીલને પોતાની સાથી પાર્ટી એનસીપી વિરુદ્ધ ઉપયોગ કરવાની યોજના બનાવી હતી. જો ભવિષ્યમાં કોઈ ગોટાળો સામે આવે તો મિનિટોની અંદર પાર્થ પવારની ધરપકડ કરી શકાતી હતી. રાજકારણને કન્ટ્રોલ કરવા માટે આવી રમત રમવી એ ગુનાહિત માનસિકતાની નિશાની છે.’
જાણો શું છે મામલો?
ઉલ્લેખનીય છે કે, પુણેના કોરેગાંવ પાર્ક જેવા પોશ વિસ્તારમાં 1800 કરોડની કિંમત ધરાવતી સરકારી જમીન પાર્થ પવાર તથા તેમના ભાગીદારોને ફક્ત 300 કરોડ રુપિયામાં પધરાવી દેવાઈ હોવાનો તથા આ જમીન સોદાના દસ્તાવેજ પર ફક્ત 500 રુપિયાની સ્ટેમ્પ ડયૂટી લેવાઈ હોવાનો ચોંકાવનારો આક્ષેપ થયો છે. આ ઘટના સામે આવ્યા બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (CM Devendra Fadnavis) તમામ પ્રકરણની તપાસના આદેશો આપ્યા હતા અને રાજ્યના બે મહેસૂલી અધિકારીઓને તત્કાળ સસ્પેન્ડ કરી દીધા હતા. આક્ષેપો અનુસાર પાર્થ પવારની ભાગીદારી ધરાવતી કંપની અમેડિયા એન્ટરપ્રાઈઝીસ એલએલપીને પુણેના મુંઠવા વિસ્તારમાં 300 કરોડની જમીન વેચવામાં આવી છે. સરકારી ચોપડે આ જમીન શ્રી સરકાર એટલે કે સરકારી માલિકીની દર્શાવાઈ છે. તો આ જમીન પાર્થ પવારની કંપનીને વેચવાની પરવાનગી કોણે આપી, આ કિંમત કોણે નક્કી કરી તેવા સવાલો સર્જાયા છે. 300 કરોડના સોદા પર 21 કરોડ જેટલી સ્ટેમ્પ ડયૂટી લાગવી જોઈએ તેને બદલે ફક્ત 500 રુપિયા સ્ટેમ્પ ડયૂટી લેવાઈ છે. આ સ્ટેમ્પ ડયૂટી માફીની સૂચના પણ કોણે આપી તેવા પ્રશ્નો પણ થયા છે.
આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક શંકાસ્પદ કાર મળી, અલ-ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગ પહોંચી બોમ્બ સ્ક્વૉડ










