![]()
વડોદરા, તા.13 અમદાવાદના પરિવારને દુઃખ તેમજ બીમારી દૂર કરવાની લાલચ આપી રોકડ તેમજ દાગીના પડાવી છેતરપિંડી કરતા ભેજાબાજને વડોદરાના સંગમ વિસ્તારમાંથી ચાર વર્ષ બાદ પોલીસે ઝડપી પાડયો હતો.
અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષ પૂર્વે છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો જેમાં વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે આવેલા વિજયનગરમાં માઇમાતાના મંદિર પાસે રહેતા હિતેશ ઉર્ફે ઘનશ્યામ હરીઓમ પ્રસાદ યાજ્ઞિાકે બીમારીના નામે દાગીના તેમજ પૈસા પડાવી ઠગાઇ કરી હોવાનો ઉલ્લેખ હતો. આ ગુના બાદ છેલ્લા ચાર વર્ષથી હિતેશ ઉર્ફે ઘનશ્યામ નાસતો ફરતો હતો.
દરમિયાન વારસિયા પોલીસને માહિતી મળી હતી કે ચાર વર્ષથી ફરાર હિતેશ ઉર્ફે ઘનશ્યામ વિજયનગરમાં મંદિર પાસે ટી-શર્ટ અને ફોર્મલ પેન્ટ પહેરીને ઊભો છે જેથી પોલીસે ત્યાં પહોંચીને પૂજાપાઠ કરતા હિતેશ ઉર્ફે ઘનશ્યામને ઝડપી પાડી સેટેલાઇટ પોલીસના હવાલે કર્યો હતો.










