Kolkata TMC Leader Makes Controversial Remarks: કોલકાતામાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે વીજળીનો કરંટ લાગવાથી થયેલાં મૃત્યુ અંગે TMCના નેતા તારક સિંહે એક વિવાદાસ્પદ નિવેદન આપતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. 23 સપ્ટેમ્બરની સવારે થયેલા ભારે વરસાદને લીધે કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં ઓછામાં ઓછા 11 લોકોનાં મૃત્યુ થયાં, જેમાં 9 મૃત્યુ કોલકાતામાં અને 2 મૃત્યુ તેની નજીકના વિસ્તારોમાં થયાં હતા.
TMCના નેતા તારક સિંહનું વિવાદાસ્પદ નિવેદન
કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC)માં ડ્રેનેજનું કામ સંભાળતા મેયર-ઇન-કાઉન્સિલના સભ્ય, તારક સિંહે કહ્યું કે, પાણી ભરાયેલા વિસ્તારોમાં જવું ‘આત્મહત્યા’ કરવા જેવું છે. તેમણે કહ્યું કે, ‘જ્યારે આપણે બધા જાણીએ છીએ કે પાણી ભરાયેલા રસ્તાઓ પર જવાથી શોર્ટ સર્કિટ થઈ શકે છે અને મૃત્યુ થઈ શકે છે, તેમ છતાં જો કોઈ ત્યાં જાય તો તે આત્મહત્યા કરવા જેવું જ છે.’
લોકોએ જાગૃત રહેવું જોઈએ: તારક સિંહનો ચોંકાવનારો દાવો
તારક સિંહે વહીવટી જવાબદારીમાંથી છટકી જતાં કહ્યું કે, ‘આ મૃત્યુ માટે નાગરિક સંસ્થાને જવાબદાર ઠેરવી શકાય નહીં.’ તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘વીજળી પૂરી પાડવાનું કામ CESCનું છે, જ્યારે અમે ફક્ત નાગરિક માળખાને જાળવી રાખીએ છીએ. 144 વોર્ડમાં આવેલા 50 લાખ વીજળીના થાંભલાઓ પર નજર રાખવી અમારા માટે શક્ય નથી. આથી, લોકોએ પણ સાવચેત રહેવું અને જાગૃત બનવું જરૂરી છે.’
વિપક્ષનો આકરો પ્રહાર
આ નિવેદન પર વિપક્ષી દળોએ ઉગ્ર પ્રતિક્રિયા આપી. BJPના કાઉન્સિલર સજલ ઘોષે સિંહના નિવેદનની મજાક ઉડાવતા કહ્યું, ‘જો આ તર્ક સાચો હોય, તો મેયર ફિરહાદ હકીમની પણ પહેલા ધરપકડ કરવી જોઈએ, કારણ કે તેઓ પોતે ઘૂંટણ સુધીના પાણીમાં છત્રી સાથે ચાલતા જોવા મળ્યા હતા. તો શું તેમણે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો?’
CPI(M)ના નેતા સુજન ચક્રવર્તીએ આ મૃત્યુને ‘આત્મહત્યા નહીં, પણ હત્યા’ ગણાવી અને આ માટે રાજ્ય સરકાર, KMC અને વીજળી કંપનીને જવાબદાર ગણાવી. તેમણે કહ્યું કે, ‘આ માનવસર્જિત આપત્તિનું ઉત્તમ ઉદાહરણ છે. વહીવટી તંત્રની બેદરકારી અને અસમર્થતાને કારણે અનેક લોકોના જીવ ગયા છે.’
આ પણ વાંચો: 1300 વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ: અભ્યાસ
કોંગ્રેસના પ્રવક્તા સુમન રાયચૌધરીએ સિંહની ટિપ્પણીને ‘શરમજનક આત્મરક્ષા’ ગણાવી. તેમણે કહ્યું કે, ‘મુખ્યમંત્રીએ તેમની પાર્ટીને નિષ્ફળતાને યોગ્ય ઠેરવવા સિવાય કંઈ શીખવ્યું નથી. પશ્ચિમ બંગાળ ફક્ત એટલા માટે પીડાઈ રહ્યું છે કારણ કે આ રાજકીય જૂથ સત્તામાં છે અને તેમના નિવેદનો તેને સાબિત કરે છે.’











