![]()
કંટાળીને નવોઢાએ પોલીસનો આશરો લીધો : આરોપીએ એક વખત સગાઇ પણ તોડાવી નાંખી હતી : સાસરે પહોંચી ધાકધમકી આપી
રાજકોટ, : સહકાર રોડ પર કલ્યાણ હોલની સામે રઘુવીર સોસાયટીમાં રહેતાં રાજ ભરતભાઇ ઝીઝુંવાડીયાએ તેની પૂર્વ મહિલા મિત્રએ લગ્ન કરી લેતા તેની જીંદગી હરામ કરી નાખી હતી. એટલું જ નહીં તેના પરિવારના સભ્યોને બેફામ ગાળો ભાંડી, ધાકધમકી આપતો હોવાથી મામલો પોલીસમાં પહોંચ્યો છે. ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કરી રાજની શોધખોળ શરૂ કરી છે. પરંતુ ભાગી ગયો હોવાથી હાથમાં આવ્યો નથી.
ફરિયાદી પરિણીતાએ પોલીસને જણાવ્યું કે, 2022માં કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે ઇન્સ્ટાગ્રામ મારફત આરોપી સાથે પરિચય થયો હતો. ત્યાર પછી બંને વચ્ચે મિત્રતા થતાં અવારનવાર વાતચીત કરતા હતા. રૂબરૂ મળતાં પણ હતી. 2024માં તેની સગાઇ નક્કી થતાં આરોપી સાથે મિત્રતા તોડી નાંખી હતી.
આરોપીને તેની સગાઇની જાણ થતાં યેનકેન પ્રકારે સગાઇ તોડાવી નાંખી હતી. એટલું જ નહીં સતત તેની સાથે સંપર્ક રાખવા દબાણ કરી ધાકધમકી આપતો હતો. ગત ફેબુ્રઆરી મહિનામાં તેના લગ્ન થયા હતા. થોડા દિવસો બાદ પિયર રોકાવા આવી હતી. જેની જાણ થતાં આરોપી અવારનવાર તેની શેરીમાંથી નીકળતો હતો. તેની સામે ખુન્નસપૂર્વક જોઇ સતત વાત કરવા અને સંપર્ક રાખવા દબાણ કરતો હતો.
એક દિવસ ઘર નજીક શેરીમાં ઊભી હતી ત્યારે આરોપીએ છરી બતાવી જો મારી સાથે સંબંધ નહીં રાખ તો તારા ભાઇ, પિતા અને પતિને પતાવી દઇશ તેવી ધમકી આપી હતી. આ પછી તે ઘરની બહાર જાય ત્યારે આરોપી પીછો કરતો હતો. ફોનમાં વાત કરવા માટે દબાણ કરી ધાકધમકી આપતો હતો. ગત માર્ચ મહિનામાં તેના સાસરે પણ આવી પહોંચ્યો હતો.
તે વખતે કહ્યું કે, મારી પાસે તારા ફોટા છે, હું તારા સાસરીયા પક્ષમાં વાયરલ કરી દઉં છું તેમ કહીં ડરાવી ધમકાવી હતી. થોડા દિવસો પહેલાં ફરીથી ફોન કરી જો મારી સાથે સંબંધ નહીં રાખ તો બદનામ કરી દઇશ. એટલું જ નહીં તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે ફરિયાદ નોંધાવી હતી.










