![]()
Vadodara Police : પોલીસકર્મી સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવાની માગને લઈ પોલીસ અને દલિત સમાજના લોકો વચ્ચે થયેલા ઘર્ષણના બનાવમાં રાવપુરા પોલીસે દલિત સમાજના 75 લોકો સામે ગુનો નોંધ્યો છે.
સરકાર તરફે દાખલ થયેલી ફરિયાદ મુજબ, દિલીપ બાબુભાઈ વણકરે પરવાનગી વગર જન સ્વભિમાન રેલી’નું આયોજન કર્યું હતું અને ભરત રોહિત નામની વ્યક્તિએ સોશ્યલ મીડિયાથી લોકોને ભેગા થવા જણાવ્યું હતું. પોલીસભવન ખાતે 200 લોકોએ પોલીસની વિરુધ્ધમાં નારા લગાવી ઉશ્કેરણીજનક ભાષણ કરી “પોલીસ આપણા કહ્યા મુજબ નહિ કરે તો તમામ રસ્તા ચક્કાજામ કરી નાખો’ તેવું કહી ટોળાને ઉશ્કેર્યું હતું. આ દરમિયાન લોકોએ ચક્કાજામ કરી વાહન વ્યવહાર રોકી દઈ એફઆઈઆરની માગ પર અડગ રહ્યાં હતાં.
ફરિયાદમાં જણાવાયા મુજબ, મહિલાઓએ લાકડીઓ સાથે ઊભા રહી રસ્તાઓ બ્લોક કરી પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. તમામને વિખેરાઈ જવા સૂચના આપવા છતા પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. મહિલાઓએ પોલીસને લાકડીઓ વડે મારતા સામાન્ય ઈજા પહોંચી છે. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે બળ પ્રયોગ કરતા તમામે એકજૂથ થઈ હુલ્લડ કરી પોલીસના બેરિકેડને નીચે પાડી દઈ પોલીસની વાનને લાકડીઓ મારી નુકસાન પહોંચાડ્યું છે. પોલીસે 75 આરોપીઓ સામે મારામારી, સંપત્તિને નુકસાન, રાયોટિંગ, જાહેરનામાં ભંગ, સરકારી ફરજમાં રૂકાવટ, ભીડ એકઠી થવી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.










