અમદાવાદ, રવિવાર
બોચાસણ વાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થાના પૂર્વ વડા બ્રહ્યલીન પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સંસ્થાના પ્રમુખ તરીકેની વરણીને 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે બીએપીએસ દ્વારા પ્રમુખવરણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી. જેનો ભવ્ય સમાપન સમારોહ રવિવારે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઉજવવામાં આવ્યો હતો. બીએપીએસના આધ્યાત્મિક વડા મંહતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલા સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓ તેમજ 50 હજાર જેટલા હરિભક્તો હાજર રહ્યા હતા.
આ મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજની આંબલીવાળી પોળથી અક્ષરધામ સુધીની ગાથાને અલૌકિક રીતે રજૂ કરવામાં આવી હતી. ખાસ કરીને પ્રમુખસ્વામીના 75 દિવ્ય ગુણોને દર્શાવતી 75 હોડીઓને સાબરમતી નદીમાં તરતી મુકવામાં આવી હતી. જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ તમામ હોડીઓ આગામી નવમી તારીખ સુધી નદીમાં તરતા રહેશે. વર્ષ 1950માં પ્રમુખ સ્વામી મહારાજને આંબલી વાળી પોળમાં બીએપીએસના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને સંસ્થાના આજીવન પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા.
આ મહોત્સવમાં આંબલીવાળી પોળથી લઇને તેમના જીવનના કાર્યો અંગેની રજૂઆત વિડીયો દ્વારા કરવામાં આવી હતી.
મહંતસ્વામી મહારાજે તેમના આર્શીવચનમાં જણાવ્યું હતુ કે પ્રમુખ સ્વામી મહારાજના ઉપકાર ગણીએ એટલા ઓછા છે.. તેમની સાધુતાના ગુણો અપરંપાર છે. આ મહોત્સવની તૈયારી માટે છેલ્લાં ત્રણ મહિનાથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી અને 20 જેટલા વિભાગોમાં સાત હજારથી વધારે સ્વંયસેવકોએ ખડે પગે સેવા કરી હતી,.










