![]()
વડોદરા, તા.12 વડોદરા નજીક કોટણા ગામ પાસે મહી નદીમાંથી મોટાપાયે રેતી ઉલેચાતા આ બીચની હાલત ખરાબ થઇ રહી છે જેના કારણે બીચ પાસે જ ખાણખનિજ વિભાગ દ્વારા અપાયેલી ત્રણ લીઝની મંજૂરી પણ રદ કરવાની માંગણી ઊઠી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોટણા ગામની સીમમાં મહી નદીના કાંઠે રેતીના એક બ્લોકને ખાણખનિજખાતાએ મંજૂરી આપ્યા બાદ જીપીસીબી દ્વારા પર્યાવરણીય મંજૂરી માટે ગામમાં લોકસુનાવણી રાખવામાં આવી હતી જો કે આ સુનાવણીના આગલા જ દિવસે કોટણા ગામે રેતી ઉલેચેલા મોટા ખાડામાં બે યુવાનો ગરકાવ થઇ જતા બંનેના ડૂબી જતા કરૃણ મોત નિપજ્યા હતાં. જેના કારણે બીજા દિવસે થનારી લોકસુનાવણી મોકૂફ રાખવી પડી હતી.
કોટણા બીચ પાસે અગાઉ મહી નદીમાં બોટ ઉતારી કરાતું ગેરકાયદે રેતીખનન ઝડપાયું હતું તેમ છતાં પણ કેટલાંક તત્વો દ્વારા રેતીખનન ચાલી રહ્યું છે. કોટણા બીચને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેની સરકાર દ્વારા મંજૂરી મળી છે અને તેના માટે રકમ પણ ફાળવવામાં આવી છે તેમ છતાં ખાણખનિજ વિભાગ દ્વારા નદીમાંથી રેતી ઉલેચવા માટે બ્લોકની મંજૂરી અપાતા વિવાદ સર્જાયો છે.
હાલમાં કોટણામાં પાંચ રેતીની લીઝને મંજૂરી આપવામાં આવી છે. લક્ષ્મણ ગોહિલ, રણછોડ ગોહિલ અને નટવર ગોહિલના નામની મંજૂર થયેલી પાંચ લીઝોમાંથી રેતીખનન થઇ રહ્યું છે જેના કારણે ક્યારેક ગંભીર દુર્ઘટના પણ બની શકે તેમ હોવાથી આ રેતીની લીઝો પર પણ રેતીખનન બંધ કરી દેવાની માંગણી ગ્રામજનો દ્વારા ઉઠી છે.










