![]()
વડોદરાઃ ફતેગંજની હોટલમાં ઇવેન્ટ દરમિયાન નિવૃત્ત કર્મચારીને દુબઇનું લોભામણું પેકેજ આપી રૃ.૧.૧૩ લાખ પડાવી લેનાર ધ પેરેડાઇઝ ક્લબના વહીવટકર્તાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
સુભાનપુરાના જાસ્મિન પાર્કમાં રહેતા રિલાયન્સના નિવૃત્ત કર્મચારી જયંતિભાઇ પટેલે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૮-૧૨-૨૦૨૪ની સાંજે મને પેરેડાઇઝ ક્લબના નામે ફોન આવ્યો હતો અને ભારત તેમજ એશિયા ફરવા જવાના પેકેજના નામે ઓફિસે આવવા આમંત્રણ આપ્યું હતું.
સાંજે હું અને મારા પત્ની અલકાપુરીના સારથી કોમ્પ્લેક્સ ખાતે ધ પરેડાઇઝ ક્લબે પહોંચ્યા ત્યારે તાળું હતું.જેથી મેં ફોન કરતાં અમને ફતેગંજની શેરેટોન ફોર પોઇન્ટ ખાતે ઇવેન્ટ હોવાથી ત્યાં આવવા કહેવાયું હતું.અમે ત્યાં ગયા ત્યારે નિકિતા પરિખ અને બિનિત બારોટે દુબઇનું એક વર્ષમાં ૭ નાઇટ અને ૮ દિવસનું પાંચ વર્ષનું પેકેજ આપ્યું હતું.જે અમે બુક કરાવી ૯૩ હજાર ભર્યા હતા.
જયંતિભાઇએ કહ્યું છે કે,ત્યારબાદ અમારી પાસે પેકેજમાં વધુ કેટલીક સવલતોના નામે બીજા ૨૦ હજાર લીધા હતા.પરંતુ ત્યારબાદ અમને કોઇ પ્લાન આપ્યો નહતો અને ફોન પણ ઉપાડતા નહતા.જેથી અલકાપુરી ઓફિસે તપાસ કરતાં ત્યાં એક મહિનાથી ઓફિસ ખુલી નથી તેમ જાણવા મળ્યું હતું.જ્યારે અમદાવાદની ઓફિસ પણ બંધ છે.અમારી જેમ સયાજીપુરામાં ધ પેલેસ સોસાયટીમાં રહેતા ગૌરવભાઇ જવર પાસે પણ આવી રીતે ૨૫ હજાર પડાવી લીધા છે.જેથી પોલીસે ગુનો નોંધ્યો છે.
કોની કોની સામે ગુનો નોંધાયો
સયાજીગંજ પોલીસે સૂત્રધાર પ્રકાશસિંગ સત્તારસિંગ રાજપૂત(રાજપૂત મહોલ્લો, ગાઝી,અલવર,રાજસ્થાન),વૈભવ સંતોષ ભાઇ દુબે,નિકિતા પરિખ અને બિનિત બારોટ સામે ગુનો નોંધ્યો છે.
ફરી સયાજીગંજની હોટલમાં બોલાવી બીજા 20 હજાર પડાવ્યા
જયંતિભાઇએ ટુર પેકેજ બુક કરાવ્યા બાદ ત્રણ જ દિવસમાં તેમને ફોન આવ્યો હતો અને ૭ નાઇટને બદલે ૧૪ નાઇટના પેકેજની ઓફર કરવામાં આવી હતી.જ્યારે, ૧૪ નાઇટ અને ૧૬ દિવસનું પણ પેકેજ આપ્યું હતું.અમે પેકેજ લીધા બાદ બિનિત બારોટે અમને પરિવાર સાથે સયાજીગંજની લેમન હોટલમાં બોલાવી તમારા પેકેજમાં ફ્રી એરટિકિટ અને એક ટાઇમ નાસ્તો,ડીનર જેવી ફેસિલિટી એડ કરવાના નામે ૪૦ હજાર માંગ્યા હતા.પણ મારા પુત્રએ અડધી જ રકમ આપી હતી.
ફ્રોડ પછી પણ ઇવેન્ટ યોજતા હતા,તાયફો ના થાય તે માટે ચેક આપી દીધો
ગ્રાહકો સાથે પેકજમાં ખોટી રીતે સવલતો બતાવીને રૃપિયા પડાવી લેતા ધ પરેડાઇઝ ક્લબના સંચાલકો દ્વારા ફરિયાદો ઉઠતી હોવા છતાં હોટલોમાં ઇવેન્ટ ચાલુ રાખવામાં આવતી હતી.જયંતિભાઇ જાન્યુઆરી-૨૦૨૫માં હોટલ ફન ઇકોના ઇવેન્ટમાં પહોંચ્યા તો ત્યાં તાયફો ના થાય તે માટે પ્રકાશસિંગે તેમને ચાર દિવસ પછીનો ચેક આપ્યો હતો.જે ચેક બાઉન્સ થતા જયંતિભાઇએ સયાજીગંજ પોલીસમાં ફરિયાદ કરી હતી.પરંતુ ત્યાં પણ સમાધાનના નામે પ્રકાશસિંગ ખાતરી આપી છટકી ગયો હતો.










