![]()
મુંબઈ : ગયા સપ્તાહના અંતે કેન્દ્ર સરકારે લીધેલા એક નિર્ણયમાં ઓકટોબરથી શરૂ થયેલી વર્તમાન ખાંડ મોસમમાં ૧૫ લાખ ટન ખાંડની નિકાસ છૂટ અપાતા ખાંડ ઉદ્યોગ માટે મોટી રાહત થઈ છે. શેરડીના બંપર ઉત્પાદનને ધ્યાનમાં રાખતા વર્તમાન મોસમનો પ્રારંભ ખાંડ ઉદ્યોગ માટે પડકારરૂપ શરૂ થયો છે.
નિકાસ છૂટ ઉપરાંત મોલાસિસ પરની ૫૦ ટકા નિકાસ ડયૂટી રદ કરવાનો પણ સરકારે નિર્ણય લીધો છે. ખાંડ મિલો તથા શેરડીના ખેડૂતોને ટેકો પૂરો પાડવાના હેતુ સાથે આ નિર્ણય આવી પડયા છે. ઊંચા ઉત્પાદન વચ્ચે ઈથેનોલ તરફ નબળા ઉપયોગને કારણે શેરડીના ખેડૂતોએ સહન કરવું પડે છે.
નિકાસ છૂટ ઉપરાંત ડયૂટી નાબુદ કરાતા ખાંડ મિલોમાં ઈન્વેન્ટરીનું દબાણ ઘટવાની ધારણાં છે અને મેલોની આવકમાં પણ વૃદ્ધિ જોવા મળશે. મિલો દ્વારા વીસ લાખ ટન ખાંડની નિકાસ છૂટ આપવામાં માગણી કરવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં સમાપ્ત થયેલી ૨૦૨૪-૨૫ની ખાંડ મોસમમાં નિકાસકારોએ દસ લાખ ટનની પરવાનગી સામે અંદાજે આઠ લાખ ટન ખાંડ નિકાસ કરી હોવાનું જણાય છે.
શેરડીના નીચા ઉત્પાદનને પરિણામે ૨૦૨૪ના પ્રારંભમાં મોલાસિસ પર ૫૦ ટકા નિકાસ ડયૂટી લાગુ કરવામાં આવી હતી. મોલાસિસ એ શેરડીનું બાય-પ્રોડકટ છે. હાલની ૨૦૨૫-૨૬ની મોસમમાં ખાંડ ઉત્પાદન ૧૬ ટકા વધી ૩૪૩.૫૦ લાખ ટન રહેવા ધારણાં છે. મહારાષ્ટ્રમાં ઊંચા ઉત્પાદનને કારણે ખાંડનું એકંદર ઉત્પાદન ઊંચુ રહેવાનો ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ઈસ્મા) દ્વારા અંદાજ મુકાયો છે. ગઈ મોસમમાં ખાંડનું કુલ ઉત્પાદન ૨૯૬.૧૦ લાખ ટન રહ્યું હતું.










