![]()
વડોદરાઃ મહિલા તબીબ સાથે ૧૭ વર્ષ પહેલાં સંપર્કમાં આવ્યા બાદ વારંવાર બળાત્કાર ગુજારનાર સયાજી હોસ્પિટલના સિનિયર સાયકિયાટ્રિસ્ટ ડો. ચિરાગ બારોટ સામે બળાત્કારની ફરિયાદ નોંધાતાં તે ફરાર થઇ ગયો છે.
૪૩ વર્ષીય ડિવોર્સી મહિલા તબીબને લગ્ન કરવાના વાયદા કરી વારંવાર શારીરિક સબંધ બાંધતા અને તેને પરેશાન કરતા સયાજી હોસ્પિટલના ડો.ચિરાગ બારોટ સામે મહિલાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવ્યા બાદ પીઆઇ કિરીટ લાઠિયા અને ટીમે આજે શહેરના ભાયલી નજીક અંપાડ ખાતે આવેલા ફાર્મમાં ડો.ચિરાગની તપાસ કરી હતી.
આ ઉપરાંત પોલીસે તેના ગોરવાની ગોકુલ સોસાયટી,સલાટવાડાના ક્લિનિક અને અન્ય આશ્રય સ્થાનો પર દરોડા પાડયા હતા.જેમાં મહિલા પીઆઇને પણ સામેલ કરવામાં આવ્યા હતા.પરંતુ આરોપીનો કોઇ પત્તો લાગ્યો નથી.
પોલીસે આજે બનાવ સંદર્ભમાં સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ પરના મેસેજ સહિતના પુરાવા એકત્રિત કરવાની કામગીરી કરી હતી તેમજ ૨૦ થી વધુ લોકોના નિવેદન પણ લીધા હતા.ડો.ચિરાગને શોધવા માટે પોલીસની એક ટીમને બહારગામ પણ મોકલવામાં આવી છે.
સોસાયટીનો પ્રમુખ હોવા છતાં ડો.ચિરાગ રહીશોને હિસાબો આપતો નથી
સાયકિયાટ્રિસ્ટ ચિરાગ બારોટ અંપાડ ખાતેની સોસાયટીમાં પ્રમુખ તરીકે પણ કામ કરી રહ્યો છે.
પરંતુ તેમની કાર્યપધ્ધતિ સામે રહીશોમાં પણ નારાજગી જોવા મળી છે.ધમકીભરી ભાષામાં વાત કરવાની છાપ ધરાવતો ડો.ચિરાગ બારોટ સોસાયટીના હિસાબો અંગે પણ સ્પષ્ટ જવાબ આપતો નહતો.
મળતી માહિતી મુજબ,છેલ્લા ચાર મહિનાથી તેની પાસે હિસાબોની માંગણી કરવામાં આવતી હતી અને આ અંગેના મેસેજો પણ ફરતા થયા હતા.પરંતુ તેમ છતાં તે કોઇને રિસ્પોન્સ આપતા નહતો.
પીડિતા બીજા રાજ્યમાં નોકરી કરતી હતી ત્યારે બદનામ કરતો મેલ આવ્યો હતો
પોલીસના કહ્યા પ્રમાણે,પીડિતા અગાઉ બીજા રાજ્યમાં નોકરી કરતી હતી ત્યારે પણ ડો.ચિરાગ તેને પજવતો હતો.મહિલાને નોકરીના સ્થળે અજાણી વ્યક્તિએ મોકલેલો એક મેલ પણ મળ્યો હતો.જેમાં તેને બદનામ કરતો ઉલ્લેખ હતો.આ મેલ ચિરાગ બારોટે મોકલ્યો હોવાનું પોલીસ માની રહી છે.પરંતુ હજી સુધી કન્ફર્મ થયું નથી.જેથી પોલીસ ફોરેન્સિક અને સાયબર સેલની મદદ લેનાર છે.
ડો.ચિરાગને પીડિતાને છોડવી નથી અને લગ્ન પણ કરતો નથી
ડો.ચિરાગ બારોટના બ્લેકમેલિંગનો ભોગ બનેલી પીડિતાએ કંટાળીને વર્ષોની ધીરજ ગુમાવી હતી અને પોલીસ ફરિયાદ કરી હતી.પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,ડો.ચિરાગ મહિલા તબીબ સાથે લગ્ન પણ કરતો નહતો અને તેને છોડવા પણ તૈયાર નહતો.તે સ્યુસાઇડ જેવી ધમકી પણ આપતો હોવાની વિગતો જાણવા મળી છે.
ચિરાગે પ્લોટ લીધો ત્યારે પીડિતા સાથે વાસ્તુપૂજન કર્યું હતું
અંપાડ ખાતે ફાર્મ ધરાવતા ડો.ચિરાગે નજીકમાં એક પ્લોટ પણ લીધો હતો.જે પ્લોટના વાસ્તુ પૂજનમાં તે પીડિતા સાથે બેઠો હતો.પોલીસ આ અંગે વધુ વિગતો તપાસી રહી છે.










