![]()
Humayun Kabir New Political Party : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. મુર્શિદાબાદમાં અયોધ્યાની બાબરી મસ્જિદ જેવી જ નવી મસ્જિદનો શિલાન્યાસ કરીને વિવાદોમાં આવેલા તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ કબીરે પોતાની નવી પાર્ટીનું એલાન કર્યું છે. કબીરે પોતાની પાર્ટીનું નામ જનતા ઉન્નયન પાર્ટી રાખ્યું છે. પાર્ટીના ચૂંટણી ચિહ્ન માટે હુમાયુ કબીરે કહ્યું કે, મારી પહેલી પસંદ ‘ટેબલ’ છે. બીજી પસંદગી ટ્વિન રોઝિઝ છે.
294 બેઠકો પર ચૂંટણી લડવાની શક્યતા
હુમાયુ કબીરે જણાવ્યું છે કે, જો જરૂર પડશે તો હું તમામ 294 બેઠકો પર ઉમેદવારો ઉતારીશ. જોકે આજે બપોરે તેઓ જિલ્લાના રેજીનગરમાં આયોજિત સભામાં પાર્ટીના નામની ઔપચારિક જાહેરાત કરશે. સભા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
હુમાયુએ પોતાની પાર્ટીનું નામ આ રાખ્યું
હુમાયુએ મીડિયાને જણાવ્યું કે, મારી પાર્ટી માત્ર સામાન્ય લોકોના વિકાસની વાત કરશે. આ જ આધાર પર ‘જનતા ઉન્નયન પાર્ટી’ નામ રાખવામાં આવ્યું છે. ઉન્નયનનો અર્થ વિકાસ થાય છે.
કબીરે તૃણમૂલ અને ભાજપના વિરોધીઓને એક થવા અને બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ સરકારને હટાવવા માટે આવતા વર્ષે ગઠબંધનમાં વિધાનસભા ચૂંટણી લડવા અપીલ કરી.
હુમાયુએ બાબરી મસ્જિદ જેવી મસ્જિદનો શિલાન્યાસ કરતા વિવાદ
ઉલ્લેખનીય છે કે, હુમાયુ કબીરે 6 ડિસેમ્બરના રોજ મુર્શિદાબાદ જિલ્લાના ભરતપુર વિસ્તારમાં બાબરી મસ્જિદ જેવી મસ્જિદનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં તેમણે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, ‘જો અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી શકાય છે, તો અમે મુર્શિદાબાદની ધરતી પર ફરીથી બાબરી મસ્જિદ બનાવી શકીએ છીએ.’ આ શિલાન્યાસ બાદ રાજકારણમાં ભારે વિવાદ સર્જાયો હતો. આ ધાર્મિક વિવાદ બાદ હુમાયુ કબીરે હવે રાજકીય નવી શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: ‘નવી પાર્ટી બનાવી 294 બેઠકો પર ચૂંટણી લડીશું’ મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ વિવાદ ઉભો કરનારા હુમાયૂંની જાહેરાત










