![]()
– કબ્રસ્તાનમાંથી મળેલા ચપ્પુ વડે 5 ઘા ઝીંક્યા
– ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ ફરિયાદ નોંધાવી, શાળા અગાઉ પણ શિસ્ત અને પ્રાર્થના બાબતે વિવાદમાં આવી હતી
બાલાસિનોર : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની માફક જ ગઇકાલે સાંજે બાલાસિનોરના તળાવ દરવાજા સ્થિત પ્રાથમિક શાળામાં ધો.૮ના વિદ્યાર્થી પર એના કલાસનાં જ છાત્રએ ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની ચકચારી ઘટનામાં પોલીસે સગીર વિધાર્થી આરોપીની ધર૫કડ કરી છે. જેની પૂછપરછમાં એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, તે બે દિવસથી દફતરમાં ચપ્પુ છૂપાવીને શાળાએ લાવતો હતો.
બાલાસિનોરના તળાવ દરવાજા વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં શાળા છૂટયા પછી શાળાના દરવાજા પાસે જ ધો.૮ના એક વિદ્યાર્થી ઉપર તેના સહપાઠીએ ચપ્પુથી હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે ખસેડાયો હતો. ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ હુમલો કરનાર વિદ્યાથી સામે છરીના પાંચ ઘા માર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી વિદ્યાથી આરોપીની ધર૫કડ કરી છે. આ ઘટના સંદર્ભે ડીવાયએસપી કમલેશ વસાવાએ જણાવ્યું છે કે, પ્રાથમિક પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે, જેના વડે હુમલો કરાયો તે ચપ્પુ વિદ્યાથીને બે દિવસ ૫હેલાં કબ્રસ્તાનમાંથી મળ્યું હતું. આ ચપ્પુ તે દફતરમાં છૂપાવીને શાળાએ લાવતો હતો. જો કે બાલાસિનોર પોલીસે આ હુમલો શા કારણે કર્યો હતો અને બંને વિદ્યાર્થી વચ્ચે ઝઘડો કંઇ બાબતે થયો હતો તે વિગતો જાહેર કરી નથી. અમદાવાદની ઘટનાને ધ્યાને લેતા પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, તળાવ દરવાજાની સરકારી પ્રાથમિક શાળા અગાઉ શિસ્ત અને પ્રાર્થનાને લઇને વિવાદમાં આવી ચૂકી છે. ગઇકાલની છરીથી હુમલાની ઘટના બાદ શાળા ફરી વખત ચર્ચાની એરણે ચડી છે.
ઘટનાની જાણ થતા અમે દોડી ગયા હતા : આચાર્ય
તળાવ દરવાજા પ્રાથમિક શાળાના આચાર્ય આરીફભાઇના જણાવ્યા અનુસાર શાળા છૂટયા બાદ શિક્ષકો સહિતનો સ્ટાફ ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે આ બનાવ બન્યો હતો. આ બનાવ સમાજ માટે ખુબ જ ગંભીર છે. બનાવની જાણ થતા શાળાનો સ્ટાફ દોડયો હતો. શેનો ઝઘડો થયો હતો. તે બાબતે છાત્રોને પૂછયું હતું. ૫રંતુ કોઇ ચોક્કસ બાબત જાણવા મળી નહોતી.
સોશિયલ મીડિયાના વીડિયોથી બાળકોમાં પેદા થતી મનોવિકૃતિ
બાલાસિનોર અને અમદાવાદની ઘટના બાબતે નિષ્ણાંતો જણાવે છે કે, સગીર વયમાં શાળાએ જતા બાળકોમાં પેદા થયેલી આ મનોવિકૃતિ ખુબ જ ગંભીર બાબત છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં આવતી રિલ્સ અને વીડિયો ગેમના કારણે બાળકોના કૂમળા માનસપટ ઉપર ભયંકર ખરાબ અસર પડી રહી છે.










