![]()
– મહીસાગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ
– એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય ડમ્પર માલિકોને રૂા. 5.80 લાખનો દંડ ફટકાર્યો
બાલાસિનોર : મહીસાગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ત્યારે ખાણ ખનીજ વિભાગે લુણાવાડા અને બાલાસિનોરમાંથી ગેરકાયદે રેતી ભરીને જતા ત્રણ ડમ્પરો ઝડપ્યા હતા. રૂા. ૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય ડમ્પર માલિકોને રૂા. ૫.૮૦ લાખનો દંડ ફટકાર્યો છે.
મહીસાગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ બાલાસિનોર જીઆઇડીસીમાં વર્ષે કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી કરીને વીરપુર અને લુણાવાડા તાલુકામાંથી પથ્થર લાવવામાં આવે છે. ત્યારે રાત્રિના સમયે વીરપુરથી બાલાસિનોર રોડ પર સફેદ પથ્થર ભરેલા ૧૦૦થી વધુ ટ્રેક્ટરો અને ૫૦થી વધુ ટ્રકો બેરોકટોક ફરતા હોવાનું લોકો કહી રહ્યા છે. તેવામાં ખાણ ખનીજ વિભાગ સફાળું જાગ્યું છે.
મહીસાગર જિલ્લા મુખ્ય મથક લુણાવાડા અને બાલાસિનોરમાંથી રેતી ભરીને પસાર થતા ત્રણ ડમ્પરને ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડી તપાસ કરી હતી. જેમાં કોઈ પણ પ્રકારની રોયલ્ટી પાસ પરમિટ ના મળતા ડમ્પર માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે. ત્રણેય ડમ્પર માલિકોને રૂા. ૫.૮૦ લાખનો દંડ પણ ફટકારાયો છે. ખાણ- ખનીજ વિભાગે રૂા. ૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.










