![]()
– 6 નવેમ્બરે 121 અને 11 નવેમ્બરે 122 બેઠકો પર મતદાન
– નીતિશકુમારનું રેકોર્ડ બ્રેક 10મી વખત સીએમ બનવાનું ધ્યેય, પ્રશાંત કિશોર પર નજર : બિહારની 75 લાખ મહિલાઓના ખાતામાં ઠાલવેલા 10 હજાર રૂપિયા ગેમ ચેન્જર નીવડશે તેવી આશા
– બિહારમાં કુલ 7.4 કરોડ મતદારોમાં 3.92 કરોડ પુરુષ, 3.50 કરોડ મહિલા, 100 વર્ષથી વધુ વયના 14 હજારથી વધુ મતદારો
નવી દિલ્હી : બિહારની વિધાનસભા ચૂંટણીની લાંબા સમયથી રાહ જોવાતી હતી છેવટે ચૂંટણીપંચે તેની તારીખોની જાહેરાત કરી દીધી છે. બિહારની ૨૪૩ બેઠકોની વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં ૬ અને ૧૧ નવેમ્બરા રોજ યોજાશે. તેનું પરિણામ ૧૪ નવેમ્બરના રોજ આવશે. બિહારમાં છ નવેમ્બરે પ્રથમ તબક્કામાં ૧૨૧ અને ૧૧ નવેમ્બરે બીજા તબક્કામાં ૧૨૨ બેઠકોની ચૂંટણી યોજાશે. બિહારની ચૂંટણીને લઈને ૧૦મી ઓક્ટોબરના રોજ જાહેરનામુ બહાર પડશે. ૧૭મી ઓકટોબર ઉમેદવારીપત્રક દાખલ કરવાની અંતિમ તારીખ હશે. જ્યારે ૨૦મી ઓક્ટોબર ઉમેદવારીપત્રક પરત ખેંચવાની અંતિમ તારીખ હશે.
હાલમાં બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર છે. તેઓ દસમી વખત સીએમ બનવાનો રેકોર્ડ કરવા તરફ આગળ ધપી રહ્યા છે. બિહારમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરતાં મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાાનેશ કુમારે જણાવ્યું હતું કે બિહાર ચૂંટણીમાં ૭.૪ કરોડ જેટલા મતદારો મતદાન કરશે. તેમા ૧૪ લાખ મતદારો નવા હશે. કુલ મતદારોમાં પુરુષ મતદારો ૩.૯૨ કરોડ અને મહિલા મતદારો ૩.૫૦ કરોડ છે. તેમણે ચૂંટણી શાંતિપૂર્ણ રહેવાનો દાવો કર્યો છે. બિહારમાં ૧૦૦ વર્ષ કરતાં વધુ વયના ૧૪ હજાર મતદારો છે. આ ઉપરાંત બુરખામાં આવતી મતદારોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે આંગણવાડીના મહિલા કાર્યકરોની મદદ લેવામાં આવશે.
આના પગલે હવે આગામી ચૂંટણીમાં શાસક પક્ષ એનડીએ શાસિત ભાજપ, જેડીયુ, એલજેપી અને એચએએમ તથા આરજેડી, કોંગ્રેસ, ડાબેરી મોરચાના સંગઠન યુપીએ વચ્ચે જબરદસ્ત મુકાબલો જોવા મળશે.
આ ઉપરાંત ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીની એન્ટ્રીએ એક દ્વિપક્ષીય જંગને વધુ રોમાંચક બનાવ્યો છે. તેમણે બિહારમાં અરવિંદ કેજરીવાલ સ્ટાઇલમા ઉથલપાથલ કરવાનો દાવો કર્યો છે.
બિહાર દેશમાં ચોથા નંબરની સૌથી મોટી વિધાનસભા ધરાવે છે. યુપી, મહારાષ્ટ્ર, બંગાળ પછી બિહાર વિધાનસભા મતવિસ્તારની તથા લોકસભાના સાંસદોની રીતે ચોથા ક્રમે આવે છે. બિહારમાંથી લોકસભાના ૪૦ સભ્યો જતાં હોવાથી શાસક અને વિપક્ષ બંને માટે આ રાજકીય રીતે મોકળું મેદાન કહેવાય છે.નીતિશકુમાર કોઈપણ ભોગે સત્તા પર રહેવા માટે જાણીતા છે. હવે સત્તાવિરોધી લહેર, એનડીએની અંદર નીતિશકુમારના ઘટતા પ્રભાવ અને આરોગ્યને લઈને વધતી જતી ચિંતાનો સામનો કરી રહ્યા છે. આ ચૂંટણી ભાજપ માટે પણ અગ્નિપરીક્ષા જ છે. રાજ્યમાં પક્ષ પાસે કોઈ વિશ્વસનીય ચહેરો ન હોવા છતાં પણ તેણે પીએમ મોદીની લોકપ્રિયતાના આધારે આ બેઠકો મેળવી છે.
જ્યારે વિપક્ષમાં તેજસ્વી યાદવ પાસે બિહારની ચૂંટણી લાલુપ્રસાદ યાદવના રાજકીય વારસાને આગળ વધારવાની તક છે. જો કે તેજસ્વી પર તેના પિતાના સમયના જંગલ રાજને લઈને આકરા પ્રહારો થતાં રહે છે. આમ છતાં તેજસ્વી બિહારમાં આરજેડીને ટકાવી રાખવામાં મહત્ત્વના સાબિત થયા છે. તે ભાજપ અને નીતિશને બરોબરની ટક્કર આપતા રહ્યા છે.
બિહારના રાજકારણમાં જાતિગત સમીકરણ હંમેશા મોટું પરિબળ રહે છે. આમ છતાં પણ બીજા મહત્ત્વના મુદ્દાઓ પણ છે. તેમા ચૂંટણીપંચનો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ મુખ્ય છે. તે ૨૨ વર્ષમાં પહેલી વખત ચલાવાયો છે. પંચે તેના પાછળ તો એવું કારણ આપ્યું છે કે તે મતદાર યાદીમાંથી બિનજરૂરી નામો દૂર કરવા માંગે છે. તેણે કુલ ૬૯ લાખ નામ હટાવ્યા હોવાનું કહેવાય છે. જ્યારે વિપક્ષે તેને વોટ ચોરી અભિયાન કહીને પાણી પહેલાં જ પાળ બાંધી લીધી હોવાનું કહેવાય છે. સત્તા વિરોધી લહેર ટાળવા માટે તાજેતરમાં જ બિહારની ૭૫ લાખ મહિલાઓના ખાતામાં દસ હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ બાબતનો ચૂંટણીમાં મોટો ફાયદો મળે તેમ મનાય છે.તેની સીધી અસર મહિલા મતદારો પર પડશે તેમ કહેવાય છે. આમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પછી હવે બિહારમાં પણ મહિલાઓના ખાતામાં આ રીતે સીધા રૂપિયા ટ્રાન્સફર કરીને સત્તા વિરોધી લહેરને ખાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ચૂંટણીની જાહેરાત થતાં શરૂ થયાં પોલ
બિહારની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ બની શકે
– બિહારના રાજકારણમાં હંમેશા જાતિગત સમીકરણ હાવી રહેતાં જોવા મળ્યાં છે
નવી દિલ્હી : બિહારમાં ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે નવી સરકાર કોની બનશે તેને લઈને અટકળોએ વેગ પકડયો છે. ચૂંટણીની જાહેરાતની સાથે જ થયેલા સરવે અનુસાર એનડીએને ૪૯ ટકા મત મળવાની સંભાવના છે. જ્યારે યુપીએને ૩૬ ટકા અને અન્ય પક્ષોને ૧૫ ટકા મત મળવાની સંભાવના છે.
હવે આ ટકાવારીને સીટોમાં રૂપાંતર કરીએ તો એનડીએને ૧૫૦થી ૧૬૦, યુપીએને ૭૦થી ૮૫ અને અન્યને ૯થી ૧૨ સીટ મળી શકે છે. ભાજપને ૮૦થી ૮૫, જેડીયુને ૬૦થી ૬૫, આરજેડી ૬૦થી ૬૫ ટકા, હમ પાર્ટી ત્રણથી છ ટકા, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ પાસવાન)ને ચારથી છ બેઠક, રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચાને એકથી બે બેઠક, કોંગ્રેસને ૭થી ૧૦, સીપીઆઈને ૬થી ૯ બેઠક મળે તેમ માનવામાં આવે છે.
આમ ૨૦૨૫ના ઓપિનિયન પોલ મુજબ ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી શકે છે. તેને ૮૦થી ૮૫ બેઠક મળવાનું અનુમાન છે. જ્યારે નીતિશકુમારને ૬૦થી ૬૫ બેઠક મળી શકે છે. આમ એનડીએ સત્તા જાળવી રાખશે તેમ માનવામાં આવે છે. જ્યારે લાલુ યાદવના આરજેડીને ૬૦થી ૬૫ બેઠક મળે તેમ માનવામાં આવે છે.










