Bihar Election Maithili Thakur: બિહારની લોકપ્રિય ગાયિકા મૈથિલી ઠાકુર રાજકારણમાં પ્રવેશ કરી રહી હોવાની અટકળો વહેતી થઈ છે. ભાજપ તેને વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ આપવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલ છે. બિહારના ભાજપના પ્રભારી વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે મૈથિલી ઠાકુર સાથે મુલાકાતની તસવીર અને તાવડેના નિવેદને આ અટકળો પર જોર મૂક્યું છે. મધુબની જિલ્લાના બેનીપટ્ટીમાં રહેતી મૈથિલી ઠાકુર આ વર્ષે જુલાઈમાં જ 25 વર્ષની થઈ છે અને તે ચૂંટણી લડવા લાયક છે.
11 વર્ષથી થઈ હતી ફેમસ
2011માં માત્ર 11 વર્ષની વયે મૈથિલી ઝીટીવીના સારેગામાપા લિટલ ચેમ્સ કાર્યક્રમથી ફેમસ થઈ હતી. તે ત્યારથી ફિલ્મ, ભજન અને લોક ગીતો ગાઈ ચાહકોને મંત્રમુગ્ધ કરી રહી છે. ચૂંટણી પંચે 2024માં લોકસભા ચૂંટણીમાં મૈથિલી ઠાકુરને જન જાગૃત્તિ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હતી.
વિનોદ તાવડેના ટ્વિટે શક્યતા પ્રબળ કરી
વિનોદ તાવડેએ ટ્વિટ કરતાં તેની ચૂંટણી લડવાના સંકેતોને વધુ પ્રબળ બનાવ્યા છે. તેની મુલાકાત સાથેની તસવીર પોસ્ટ કરતાં તાવડેએ લખ્યું કે, વર્ષ 1995માં બિહારમાં લાલુ રાજના કારણે જે પરિવાર બિહાર છોડીને જતોં રહ્યો, તે પરિવારની દિકરી સુપ્રસિદ્ધ ગાયિકા મૈથિલી ઠાકુર બિહારની બદલાતા વિકાસને જોઈ ફરીથી બિહાર આવવા માગે છે. આજે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય અને તે તેને આગ્રહ કર્યો હતો કે, બિહારની જનતા માટે અને બિહારના વિકાસ માટે તેનું યોગદાન બિહારના સામાન્ય માણસને અપેક્ષિત છે. તે લોકોની અપેક્ષા પૂરી કરે. બિહારની દિકરી મૈથિલી ઠાકુરજીને અનંત શુભકામનાઓ…
મૈથિલીનો રાજકારણમાં પ્રવેશ?
વિનોદ તાવડેની આ ટ્વિટથી રાજકારણમાં અટકળો વહેતી થઈ છે કે, શું મૈથિલી રાજકારણમાં પ્રવેશ કરવા જઈ રહી છે. જો તે ભાજપ તરફથી ચૂંટણી લડશે તો કંઈ બેઠક પર ઉમેદવારી નોંધાવશે? ઉલ્લેખનીય છે કે, મૈથિલી બેનીપટ્ટીની રહેવાસી હોવાથી ત્યાંથી ચૂંટણી લડી શકે છે. હાલ બેનીપટ્ટીમાંથી ભાજપના દિગ્ગજ નેતા વિનોદ નારાયણ જ્હાં ધારાસભ્ય છે. 68 વર્ષીય વિનોદ નારાયણ વરિષ્ઠ થયા હોવાથી તેમના સ્થાને મૈથિલીને ટિકિટ આપી શકે છે. જો કે, ભાજપમાં હજી પણ વિનોદ નારાયણ કરતાં પણ વધુ ઉંમરલાયક નેતાઓ કાર્યરત છે. બે વાર ધારાસભ્ય અને એક વખત વિધાન પાર્ષદ રહી ચૂકેલા વિનોદ નારાયણ જ્હાંનું પત્તું નહીં કપાય તો મૈથિલીની બેઠક મુદ્દે સસ્પેન્સ વધી જશે.











