![]()
– ચૂંટણી યોજવા જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત
– 2021 માં ગાના, સંદેશર અને નાવલી મંડળીઓને ખોટી રીતે ઉમેદવારી અને મતદાન કરવા દેવાના મુદ્દે હાઈકોર્ટમાં ગયા હતા
આણંદ : આણંદમાં ખેડૂત અને પ્રજાલક્ષી સંસ્થા આણંદ એપીએમસીનો વહીવટ ૪ વર્ષથી સરકાર હસ્તક ચાલી રહ્યો છે. ત્યારે આણંદના ભાજપના ધારાસભ્ય, સાંસદ સહિતના આગેવાનો સહકારી ક્ષેત્રે નિષ્ક્રિય હોવાનું જણાઈ આવે છે.
આણંદ જિલ્લામાં ૩ કરોડનું ટર્નઓવર ધરાવતી એપીએમસીનો વહીવટ જિલ્લા રજિસ્ટ્રારના હાથમાં સોંપાયો હતો. ૨૦૨૧માં આણંદ એપીએમસીમાં ઈલેક્શન થયું હતું. તે ઈલેક્શનમાં વેપારી વિભાગ, ખરીદ વિભાગ અને ખેડૂત વિભાગના ઉમેદવારો સામે હાઈકોર્ટ મેટર બની હોવાને કારણે એપીએમસીનો વહીવટ હાલ આણંદ જિલ્લા રજિસ્ટ્રાર અભિષેક આર.સુવાના હાથમાં સોંપાયો હતો. અગાઉ ભરતભાઈ સુરેશભાઈ પટેલ વર્ષ ૨૦૨૧માં તેમની ચેરમેન તરીકેની ટર્મ પુરી થતા નવુ ઈલેક્શન વર્ષ ૨૦૨૧માં જાહેર થયું હતું. તે ઈલેક્શનમાં ભાજપના આંતરિક વિવાદને કારણે એપીએમસીનો વહીવટ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ અંગે ભાજપના પૂર્વ ચેરમેન ભરતભાઈ સુરેશભાઈ પટેલને પુછતાં તેઓના જણાવ્યા પ્રમાણે ગાના, સંદેશર અને નાવલી મંડળીના સભ્યોને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ખોટી રીતે ઉમેદવારી તેમજ મતદાન કરવા દેતા આ એપીએમસીના વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે હાઈકોર્ટ મેટર કરવી પડી હતી અને જે હાઈકોર્ટ મેટરને કારણે છેલ્લા ચાર વર્ષથી જિલ્લા રજિસ્ટ્રારને વહીવટ સોંપાયો હતો. હાલ નવી ચૂંટણી ટૂંક સમયમાં જાહેર કરવા માટે જિલ્લા રજિસ્ટ્રારને ભાજપના આગેવાનો દ્વારા રજૂઆત કરાઈ છે. આ અંગે આણંદ એપીએમસીમાં હવે ઈલેક્શનના પડઘમ વાગી રહ્યા હોવાનું જોવા મળે છે.
આ અંગે જિલ્લા રજિસ્ટ્રાર અભિષેક સુવાનો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓએ સંપર્ક કરવાનું ટાળ્યું હતું.










