PM Modi Gujarat Bhavnagar News : દેશના વડાપ્રધાન મોદી આજે ભાવનગરમાં આવી પહોંચ્યા છે. તેમણે આ દરમિયાન રોડ શો પણ યોજ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાસ્થળે પહોંચી ગયા છે, જ્યાંથી તેઓ થોડીવારમાં ભાવેણાવાસીઓને સંબોધશે. જ્યાં તેમના સમર્થકો અને ચાહકોની ભીડ ઉમટી હતી. અહીં આયોજિત ‘સમુદ્ર સે સમુદ્ધિ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દેશવાસીઓને એક લાખ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે. પીએમ મોદીના આગમનના પગલે ભાવનગર શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દઈને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ દરમિયાન કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓ અને મુખ્યમંત્રીએ ભાવનગરમાં ધામા નાંખી તૈયારીઓની સમીક્ષા કરી હતી.
વડાપ્રધાન મોદીએ ‘આત્મનિર્ભર ભારત’ પર ભાર મૂક્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતને જો 2047 સુધીમાં વિકસિત થવું હોય તો તેને આત્મનિર્ભર બનવું પડશે. આત્મનિર્ભર બનવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. 140 કરોડ દેશવાસીઓએ એક સંકલ્પ લેવો જોઈએ કે, ચિપ હોય કે શિપ, આપણે ભારતમાં જ બનાવવી છે.
વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે, હવે વ્યાપાર અને કારોબારને વધુ સરળ બનાવવાનો સમય છે. તેમણે કહ્યું કે, તાજેતરના મોનસૂન સત્ર દરમિયાન સંસદમાં અમે અંગ્રેજોના સમયથી ચાલી આવતા ઘણા જૂના કાયદાઓને બદલ્યા છે. મેરીટાઇમ સેક્ટરમાં પણ સુધારા કરવામાં આવ્યા છે. આ નવા કાયદાઓથી શિપિંગ સેક્ટરમાં મોટો બદલાવ આવવાની શક્યતા છે, જે આ ક્ષેત્રને વધુ ગતિ આપશે.
‘આત્મનિર્ભર ભારત’ – 100 દુઃખોની એક દવા
ગુજરાતીમાં એક કહેવત છે, ‘100 દુઃખની એક દવા’, અને મારા મતે, આ 100 દુઃખોની એક જ દવા છે – ‘આત્મનિર્ભર ભારત’. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આત્મનિર્ભર બનવા માટે આપણે પડકારોનો સામનો કરવો પડશે અને અન્ય દેશો પરની આપણી નિર્ભરતા સતત ઘટાડવી પડશે. ભારતને આત્મનિર્ભર બનીને દુનિયા સામે મજબૂતીથી ઊભા થવું પડશે. આ જ આપણા ભવિષ્યની સુરક્ષા માટે એકમાત્ર માર્ગ છે.
‘હું તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ’17 સપ્ટેમ્બરે તમે સૌએ તમારા નરેન્દ્ર ભાઈને જે શુભેચ્છાઓ મોકલી છે, દેશ અને દુનિયામાંથી મને જે શુભેચ્છાઓ મળી છે, તે દરેકનો વ્યક્તિગત રીતે આભાર માનવો શક્ય નથી. પરંતુ, ભારતના ખૂણેખૂણેથી અને વિશ્વભરમાંથી મને જે પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે, તે મારી સૌથી મોટી સંપત્તિ છે, તે મારી સૌથી મોટી તાકાત છે. તેથી, આજે હું જાહેર મંચ પરથી દેશ અને દુનિયાના તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.’
‘આ કાર્યક્રમ સમગ્ર ભારતનો છે’: PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ‘આ કાર્યક્રમ ભાવનગરમાં થઈ રહ્યો છે, પરંતુ આ કાર્યક્રમ સમગ્ર ભારતનો છે. સમગ્ર ભારતમાં સમુદ્રથી સમૃદ્ધિ તરફ જવાની આપણી દિશા શું છે, તે માટે આજે આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું કેન્દ્ર ભાવનગરને પસંદ કરવામાં આવ્યું છે. ગુજરાત અને ભાવનગરના લોકોને ખૂબ ખૂબ અભિનંદન.’
ભાવનગર પહોંચતા જ PM મોદીનું અભિવાદન
ભાવનગર પહોંચતા જ વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેઓ ‘સમુદ્રથી સમૃદ્ધિ’ કાર્યક્રમમાં ભાગ લેશે અને રૂ. 34,200 કરોડથી વધુની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ
વડાપ્રધાન મોદીએ આગામી ‘સમુદ્રથી સમૃદ્ધિ’ કાર્યક્રમ માટે યોજાયેલા પ્રદર્શનની મુલાકાત લીધી, જેનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે. આ કાર્યક્રમ દરમિયાન, તેઓ રૂ. 34,200 કરોડથી વધુની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.
ભાવનગરમાં વડાપ્રધાને યોજ્યો રોડ શો: યુવાનોમાં અનેરો ઉત્સાહ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાવનગર ખાતે આગમન થતાં યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાવનગરની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને આવકારવા માટે અનોખો ઉત્સાહ દર્શાવ્યો હતો. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, એસ.એસ. કોલેજ, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી અને સર બીપીટીઆઈ કોલેજના NSS (નેશનલ સર્વિસ સ્કીમ)ના સ્વયંસેવકો ‘માય ભારત’ના લોગોવાળા ટી-શર્ટ અને કેપ પહેરીને સભા સ્થળે પહોંચ્યા હતા. આ વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને સત્કારવા માટે અનેરી આતુરતા બતાવી હતી.
આ પ્રસંગે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની વિદ્યાર્થીની પૂજાબા ગોહિલે જણાવ્યું કે, ‘અમારા વડાપ્રધાનને આવકારવા માટે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. તેમણે શરૂ કરેલા સ્વચ્છ ભારત અભિયાન અને નશા મુક્ત ભારત જેવા અભિયાનોએ સમાજ અને રાષ્ટ્રમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે.’
અન્ય એક વિદ્યાર્થી યુગ કોટડીયાએ પણ વડાપ્રધાનને રૂબરૂ જોવા અને સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાનના સંબોધનથી નવી પ્રેરણા પ્રાપ્ત કરવાનો તેમનો ઉત્સાહ છે. આ યુવાનોનો ઉત્સાહ દર્શાવે છે કે વડાપ્રધાનના આગમનને લઈને ભાવનગરના યુવાવર્ગમાં કેવો અનેરો માહોલ છવાયો છે.

વડાપ્રધાન 22 પ્રોજેક્ટનો શિલાન્યાસ અને 9 પ્રોજેક્ટનું લોકાર્પણ-ઉદ્ઘાટન કરશે
પીએમ મોદી આજે સવારે ભાવનગર એરપોર્ટ આવી પહોંચ્યા હતા. અહીં મંત્રી મંડળ, ઉચ્ચ અધિકારીઓ અને ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા પીએમનું સ્વાગત કરાયું હતું. ત્યાંથી કોન્વોય સાથે મહિલા કોલેજ સર્કલ પહોંચ્યા બાદ વડાપ્રધાનનો ભવ્ય રોડ શો શરૂ થયો હતો. મહિલા કોલેજ, આંબાવાડી સર્કલ, ઘોઘા સર્કલથી રૂપાણી સર્કલ સુધીના રોડ શોમાં મોદી ભાવનગરની જનતાનું અભિવાદન ઝીલશે.
પીએમ મોદી એક સભાને પણ સંબોધવાના છે. યુનિયન મિનિસ્ટર સર્બાનંદ સોનોવાલની વેલકમ સ્પીચ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંબોધન બાદ વડાપ્રધાન મોદી મુખ્ય મંચ પરથી 22 પ્રોજેક્ટનો શિલાન્યાસ અને 9 યોજનાનું લોકાર્પણ-ઉદ્ઘાટન કરશે.
આ કાર્યક્રમમાં ભારત સરકારના પોર્ટર્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ 66025 કરોડના એમઓયુનું રિમોટ બટન દબાણી લોકાર્પણ કરાશે. જેમાં બંદરો અને શિપિંગ સબંધિત 21 એમઓયુનો પણ સમાવેશ છે. આ સાથે વડાપ્રધાન પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે 7870 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળના 2524 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે.

પીએમ મોદીની મુલાકાતમાં ભાવનગરને શું મળશે ?
• પાલિતાણાના બડેલી ગામે સરકારી પડતર જમીન પર 270 કરોડના ખર્ચે 45 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટનું લોકાર્પણ
• ભાવનગર, બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં 303 કરોડના ખર્ચે હયાત વીજ લાઈનના વીજ વાયરને બદલી મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર્સ (એમવીસીસી) લગાવવાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
• સર ટી.હોસ્પિટલ માટે 583.90 કરોડના ખર્ચે ટીચિંગ હોસ્પિટલ અને એમસીએચ બ્લોકના બાંધકામ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
• 267.17 કરોડના ખર્ચે ભાવનગરના કુંભારવાડામાં ૪૫ એમએલડી ક્ષમતાના નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ, કુંભારવાડાથી દસનાળા સુધીના ફોરલેન પેવર રોડ અને વરતેજ ગામે ભૂગર્ભ ગટર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
રાજ્યના વિકાસકાર્યો માટે શું શું જાહેરાત થશે ?
• 4700 કરોડના ખર્ચે છાશા બંદર પર નિર્મિત એચપીએલએનજી એલએનજી રિગેસિફિકેશન ટર્મિનલ, વડોદરાની ગુજરાત રિફાઈનરી ખાતે 5894 કરોડના ખર્ચે નિર્મિત ઈન્ડિયન ઓઈલના એક્રેલિક/ઓક્સો-આલ્કોહોલ પ્રોજેક્ટનું લોકાર્પણ
• સુરેન્દ્રનગરમાં નિર્મિત 1500 કરોડના ખર્ચે 280 મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
• જામનગરની ગુરૂ ગોબિંદસિંહ ગવર્મેન્ટ હોસ્પિટલ માટે 525.10 કરોડના ખર્ચે ઓપીડી, એમસીએચ અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બિલ્ડિંગના બાંધકામ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
• કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે 440.7 કરોડના ખર્ચે વિવિધ રસ્તાઓની પહોળાઈ વધારવી, રસ્તાઓનું મજબૂતીકરણ, જેતપુર બાયપાસ મિસિંગ લિંક રોડ પર રેલવે ઓવરબ્રિજનું બાંધકામ વગેરે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
• અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાંચ ગામે 56 કરોડના ખર્ચે ચાંચ એન્ટી-સી ઈરોઝન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
• જૂનાગઢ-વંથલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું 38.27 કરોડના ખર્ચે લોકાર્પણ
• ગીર સોમનાથ જિલ્લાના ધામળેજ ખાતે 39.46 કરોડના ખર્ચે તૈયાર થનાર ફિશ લેન્ડિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત
• જામનગરમાં રેલવે ઓવરબ્રીજ, ખંભાળિયા રોડ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (ફેઝ-૧) તેમજ પુનઃ સ્થાપન કરાયેલ ભુજિયા કોઠાનું લોકાર્પણ
• સૌર ઊર્જા સંચાલિત ધોરડો ગામનું લોકાર્પણ
• ભાવનગર, બોટાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં 1660 કરોડના ખર્ચે પીએમ કુસુમ યોજના અંતર્ગત 457 મેગાવોટના આશરે 172 ડિસેન્ટ્રલાઈઝ્ડ સોલાર પાવર પ્લાન્ટ્સનું લોકાર્પણ
બેસ્ટ ટુરિઝમ વિલેજ ‘ધોરડો’નું લોકાર્પણ કરાશે
યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે કચ્છના ધોરડો ગામને સમાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ ધોરડો ગામમાં ૧૦૦ ટકા રહેણાંક હેતુંના વીજ જોડાણનું સોલરાઈઝેશન થયું છે. આવતીકાલે શનિવારે ભાવનગરના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીના હસ્તે સૌર ઊર્જા સંચાલિક ધોરડો ગામનું લોકાર્પણ કરવામાં આવશે.










